દિલ્હી,
આધાર કાર્ડની માન્યતા અંગે સુપ્રિમ કોર્ટે અગત્યનો ચુકાદો સંભળાવતા કહ્યું પાન કાર્ડ સાથે લીંક કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના વડપણવાળી બેન્ચે આજે પોતાનો મહત્વનો નિર્ણય સંભળાવતા આધારની કાયદાકીય માન્યતા યથાવત રાખી છે, પરંતુ આધાર એક્ટની કેટલીક જોગવાઈમાં સુધારો કર્યો છે. બેંક એકાઉન્ટ, મોબાઈલ સાથે તેના લીંક કરવાને તેને જરુરી નથી ગણાવ્યુ, તેમજ ખાનગી કંપનીઓ હવે આધાર કાર્ડ નહીં માંગી શકે.
સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડને ફરજીયાત કરવા અંગેના કેસમાં આજે પોતાનો ચુકાદો આપ્યો છે. આ કેસની સુનાવણી સુપ્રીમના ઈતિહાસની બીજી સૌથી લાંબી સુનાવણી રહી છે. સાડા ચાર મહિના દરમિયાન થયેલ 38 સુનાવણીમાં સુપ્રીમ દ્વારા સરકાર પાસે અનેક બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી હતી.
પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યુ કે, મોબાઈલ અને બેંક એકાઉન્ટના લિંક માટે આધાર કાર્ડની જરુર નથી. આ ઉપરાંત શાળાના બાળકો માટે કોર્ટે આધાર કાર્ડ જરુરી ન હોવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સીબીએસઈ, યુજીસી અને નીટમાં પણ આધાર કાર્ડની જરુર નથી.
કોર્ટે જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર આધાર કાર્ડના ડેટાને સુરક્ષિત કરવા તરત કાયદો બનાવે. આધાર ગરીબની તાકાત અને અધિકાર છે. ચુકાદો સંભળાવતા જસ્ટીસ એકે સિકરીએ જણાવ્યુ કે, આધાર કાર્ડ પર હુમલો કરવો એ લોકોના અધિકાર પર હુમલો કરવા સમાન છે.
શું કહ્યું સુપ્રિમ કોર્ટે
– સીબીએસઈ, યુજીસી, નીટ માટે આધાર ફરજીયાત નહીં
– બેંક અને મોબાઈલ લિંક માટે આધારની જરુર નથી
– શાળામાં પ્રવેશ માટે આધારની કોઈ જરુર નથી
– સરકારી ડેટાની સુરક્ષા માટે સરકાર કાયદો બનાવે
– 6થી 14 વર્ષના બાળકોને શાળામાં પ્રવેશ માટે આધારમાંથી મુક્ત