પવિત્ર અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના જાણીતા પત્રકાર અને સમાચાર પાત્ર રાઇઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીની હત્યા બાદ લશ્કર ના આતંકીઓ હવે અમરનાથ યાત્રિકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. ગુપ્ત એજન્સીના રિપોર્ટ મુજબ, લશ્કરના લગભગ 20 આતંકી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)થી ઘુસપેઠ કરી જમ્મુમાં ઘુસ્યા છે. આમાં એ આતંકી પણ શામેલ છે, જેણે શુઝાત બુખારીની હત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ શ્રીનગરના લાલચોક સ્થિત પ્રેસ એન્કલેવમાં સીનિયર જર્નલિસ્ટ શુજાત બુખારી અને તેમના સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આતંકીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. શુજાત બુખારી અને તેમના સુરક્ષાકર્મીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં શુજાત બુખારીએ દમ તોડી દીધો હતો.
શુજાત બુખારીના હત્યાના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કાશ્મીરના આઈજીપી એસપી પાણીએ કહ્યું હતું કે, આ મામલામાં પાકિસ્તાનનો હાથ છે. આઈજીપીના જણાવ્યા અનુસાર, પોલીસ પાસે પાક્કા પુરાવા છે, જેનાથી સાબિત થાય છે કે, આ હત્યાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. આના પાછળ આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા નો હાથ છે.
આઈજીપીએ કહ્યું કે, ચાર આરોપીઓમાંથી માસ્ટર માઈન્ડ સજ્જાદ ગુલ શ્રીનગર નો છે, પરંતુ અત્યારે તે પાકિસ્તાનમાં છે. સજ્જાદ ગુલ આ પહેલા નવી દિલ્હી અને શ્રીનગર માં આતંકી ગતીવીધિઓમાં પકડાયો હતો. 2017માં તે પાકિસ્તાન ભાગી ગયો અને તેના માટે લુક આઉટ નોટિસ જાહેર કરવામા આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે, શુજાત બુખારીની હત્યાામં શામેલ આતંકી હવે અમરનાથ યાત્રા પર હુમલો કરવાની ફિરાકમાં છે. એવામાં સુરક્ષાદળોએ જમ્મૂ-કાશ્મીરના વિવિધ વિસ્તારમાં આતંકીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.