જૂનાગઢ,
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર જૂનાગઢમાં હાલ ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. આજે મુખ્યમંત્રી ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના હતા પરંતુ ભારે વરસાદના કારણે મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર કેશોદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરી શક્યું નહિ.
સીએમ વિજય રૂપાણી આજે ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના હતા તેવો હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ પણ કરવાના હતાં પરંતુ કેશોદ એરપોર્ટમાં પાણી ભરાઈ જવાના કારણે કેશોદ ખાતે હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તેવી સ્થિતિ ન હોવાથી કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હતો. મુખ્યમંત્રી કેશોદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરી ગીર સોમનાથ જવાના હતા.
જૂનાગઢમાં મેધરાજાની તોફાની બેટિંગથી જનજીવન પ્રભાવિત થયું હતું. ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો અને વાડી વિસ્તાર પાણીમાં ફરી વળ્યા હતો. ત્યારે મેદરડા તાલુકાની દાત્રાણ ગામે નદીમાં પૂરમાં ફસાયેલા 41 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
છેલ્લા 2થી 3 દિવસથી ભારે વરસાદના કારણે દાત્રાણ ગામે રહેતા 41 લોકો પાણી વચ્ચે ફસાયા હતા. ઘટનાની જાણ તંત્રને થતા તાલુકા વિકાસ અધિકારી.સરપંચ સહિત એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દિલધડક રેક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને બચાવી લેવાયા હતા.