પાડોસી દેશ પાકિસ્તાને ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સોમવારે મોડી રાત્રે નોર્થ કાશ્મીરના બાંદીપોરના ગુરેઝ સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ હરકતમાં ભારતના ચાર જવાન શહિદ થઇ ગયા છે. આ મુઠભેડમાં જ સેનાએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાતથી જ કેટલાક આતંકીઓ ઘુસપેઠ કરવાની કોશિશ કરી રહ્યા હતા. જે બાદ સેનાએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. એ સમયે આતંકીઓ અને જવાનો વચ્ચે મુઠભેડ થઇ હતી. શહિદ થયેલા જવાનોમાં સેનાના એક મેજર પણ સામેલ છે. આ દરમિયાન સેનાએ અને આતંકીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો.
પાકિસ્તાને સોમવાર રાતથી જ ગોળીબાર ચાલુ કરી દીધો હતો. અને હાલ પણ ગોળીબાર ચાલુ જ છે. 2003ની સમજૂતી બાદ આ પહેલી વાર છે, જયારે પાકિસ્તાને આ વિસ્તારમાં આ પ્રકારનો મોર્ટાર મારો કર્યો હતો. અને ભારતે પણ સામે એવી જ ભાષામાં જવાબ આપ્યો હતો.
આર્મીના સૂત્રોનું માનવામાં આવે તો પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ આતંકીઓને ઘુસપેઠ કરાવવાના હેતુથી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની કોશિશ છે કે ગોળીબાર કરીને ભારતીય સેનાનું ધ્યાન ભટકાવીને ભારતમાં આતંકીઓની ઘુસપેઠ કરાવી શકાય.
મહત્વનું છે કે પાકિસ્તાન તરફથી આ વર્ષે ઘણી વાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સામે ભારતીય સેનાએ પણ ઈંટનો જવાબ પથ્થરથી આપતા પાકિસ્તાને ખુદે ગોળીબારને રોકવાની અપીલ કરવી પડી હતી.