દિલ્લી,
મોદી સરકાર દ્વારા ભારતની ત્રણેય સેનાના શહીદ સૈનિકોના પરિવારજનોને મોટી રાહત આપવામાં આવી છે. રક્ષા મંત્રાલય દ્વારા શહીદ, વિકલાંગ, ગુમ થયેલા અધિકારીઓ અને સેનાના જવાનોના બાળકોને શિક્ષણ માટે ટ્યુશન અને હોસ્ટેલ ફી માટે નક્કી કરવામાં આવેલી ૧૦૦૦૦ રૂપિયાની લિમીટને સમાપ્ત કરી દેવામાં આવી છે.
આ પહેલા સરકાર દ્વારા આ સીમા મર્યાદિત ૧૦૦૦૦ રૂપિયા કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે સેનાના સૈનિકો અને પૂર્વ સૈનિકોએ અસહમતી દર્શાવી હતી.
રક્ષા મંત્રાલય દ્વારા પહેલાના નિર્ણયને પાછો લેતા હવે સેનાના ઓફિસર રેંક અને અધિકારી વર્ગ નીચેના તમામ સૈનિકોના બાળકોનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉઠાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયનો ફાયદો શહીદ થયેલા જવાનો, વિકલાંગ તેમજ ગુમ થયેલા સૈનિકોના બાળકોને મળશે.
ઉલ્લેખનીય છે કે, જે જવાનોના બાળકોને ટ્યુશન અને હોસ્ટેલની ફી માટે ૧૦ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા તે કારણે પરિવારજનો મુશ્કેલી અનુભવી રહ્યા હતા ત્યારે તેઓએ રક્ષા મંત્રાલયને પત્ર લખ્યો હતો. આ પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા પણ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણને આ મર્યાદા નક્કી કરવાના નિર્ણયને બદલવા માટે અનુરોધ કર્યો હતો.
મહત્વનું છે કે, આ સ્કીમ ભારતીય સેનાની ત્રણેય ટુકડીઓ માટે ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી લાગુ કરવામાં આવી હતી જેમાં શહીદ સૈનિકોના બાળકો માટે ટ્યુશન અને અન્ય હોસ્ટેલ, પુસ્તકો તેમજ સ્કૂલના યુનિફોર્મ માટે તમામ ખર્ચ મળવાપાત્ર છે.
રક્ષા મંત્રાલય દ્વારા આ સ્કીમ લાગુ કર્યા બાદ ભારતીય સેનાના શહીદ જવાનો, વિકલાંગ તેમજ ગુમ થયેલા સૈનિકોના અંદાજે ૩૪૦૦ બાળકોને ફાયદો મળશે અને સરકાર દ્વારા દર વર્ષે ૫ કરોડ રૂપિયા આ બાળકોની ફી માટે ખર્ચવામાં આવશે.
નેવીના વડા એડમિરલ સુનિલ લંબાએ જણાવ્યું હતું કે, ” આ નાના ઇશારા અમારા બહાદુર મહિલાઓ અને પુરુષોને રાષ્ટ્ર તેમની સંભાળ રાખે છે અને તેમની બલિદાનની ખરેખર સરકાર દ્વારા પ્રશંસા કરવામાં આવે છે તે લોકોને ખાતરી અપાવે છે”