નવી દિલ્હી,
સોમવારે સંસદ ભવનમાં મળેલી બેઠકમાં સંસદના આગામી મોનસૂન સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે. સંસદનું મોનસૂન સત્ર આગામી મહિનાના ૧૮ જુલાઈથી શરુ થશે અને ૧૦ ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્રીયમંત્રી અનંત કુમારે આ સત્ર અંગે જાણકારી આપી હતી.
સંસદના ભવનમાં કેબિનેટ કમિટી ઓન પાર્લિયામેંટ્રી અફેયર્સની બેઠક મળી હતી જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, રામવિલાસ પાસવાન તેમજ પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહ્યા હતા.
બીજી બાજુ આ મોનસૂન સત્રમાં પણ વિપક્ષ કેટલાક મહત્વના મુદ્દાઓને લઇ મોદી સરકારને ઘેરી શકે છે. આ મુદ્દાઓમાં કાશ્મીરમાં સતત વધી રહેલી આતંકવાદી ઘટનાઓ, જમ્મુ-કાશ્મીરમાં બીજેપી દ્વારા સરકારમાંથી સમર્થન પાછું ખેચ્યા બાદ રાજ્યપાલ શાસન લગાવવા સહિતના મુદ્દાઓને લઇ વિપક્ષ હુમલો બોલી શકે છે.
આ મોનસૂન સત્ર દરમિયાન સરકાર દ્વારા આ ત્રણ મહત્વના બીલ પસાર કરવામાં આવી શકે છે :
OBC માટે રાષ્ટ્રીય આયોગને બંધારણીય દર્જનું બીલ
ટ્રિપલ તલાક બીલ
ટ્રાન્સજેન્ડર બીલ
મહત્વનું છે કે, સંસદનું શિયાળુ સત્ર વિપક્ષના હંગામાના કારણે વારંવાર સ્થગિત કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારના મહત્વના બીલ પાસ કરવાના રહી ગયા હતા. આ સત્રમાં પણ તેલુગુ દુશમ પાર્ટી દ્વાર આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલો વધારો સહિતના અન્ય મુદ્દાઓ પર વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો.