નવી દિલ્હી,
કેન્દ્રની વર્તમાન મોદી સરકાર દ્વારા શુક્વારે રજૂ કરવામાં આવનારા બજેટને લઇ અટકળો હતી કે આ બજેટ ફૂલ બજેટ હશે કે વચગાળાનું, પરંતુ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.
નાણાં મંત્રાલયના પ્રવક્તા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવનારું બજેટ એ માત્ર વચગાળાનું બજેટ હશે. આ બજેટ વર્ષ 2019 – 2020નું હશે અને આ મુદ્દે કોઈ દુવિધા ન હોવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, મોદી સરકાર આ વર્ષે પણ ફૂલ બજેટ રજુ કરશે. આ આશંકાઓ અંગે એ સમયે માહિતી મળી હતી જયારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના વર્કશોપમાં અધિકારીઓ દ્વારા બતાવવામાં આવ્યું હતું કે, આ વખતનું બજેટ દેશનું સામાન્ય બજેટ 2019-20 હશે.
માનવામાં આવી રહ્યું છે કે, કાર્યવાહક નાણાં મંત્રી પિયુષ ગોયલ ખેડૂતો માટે આ બજેટમાં મોટી જાહેરાત કરી શકે છે. જો કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં એક ઇન્ટરવ્યુમાં અરુણ જેટલીએ કહ્યું હતું કે, “હું પરંપરાનું પાલન કરીશ. ચૂંટણીના વર્ષમાં તમે જે રજુ કરો છો એ બીજું કશું નહિ”.
બીજી બાજુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ માં ભાજપને મળેલી હાર બાદ આર્થિક મામલાઓના જાણકારોએ કહ્યું હતું કે, આ વખતે સરકારનું બજેટ “વોટ ઓન એકાઉન્ટ” હશે નહિ, પરંતુ તેનાથી વધુ હશે. કારણ કે ત્યારબાદ સરકારને લોકસભાની ચૂંટણીનો સામનો કરવાનો છે.