પલવલ
હરિયાણામાં પલવલ શહેરમાં આવેલુ પંચવટી મોક્ષધામ સ્મશાન ઘાટમાં માર્કેટ કમિટીના ચેરમેનના પિતાના અંતિમ સંસ્કાર દરમ્યાન આશરે ૨૦૦ લોકો એકત્રિત થયા હતા અને તે દરમ્યાન મધમાખીના ઝુંડએ અચાનક આ સ્થળ પર હુમલો કરી દીધો હતો જેને લઈને ભાગદોડ મચી ગઈ હતી. આ મધમાખીનું ઝુંડ એટલું મોટું હતું કે તેની ઝપેટમાં ૫૦ વ્યક્તિ આવી ગયા હતા અને ડંખના લીધે ઘાયલ થયા હતા તો અમુક ગંભીર રીતે પણ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને તત્કાળથી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ ઉપસ્થિત લોકોએ મધમાખીથી બચવા માટે હેલ્મેટ પહેરીને અંતિમ સંસ્કાર કર્યા હતા.
સિવિલ હોસ્પીટલના સીએમઓએ જણાવ્યું હતું કે સોમવારે બનેલી આ ઘટનામાં ૫૦માંથી ૨૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોઈ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
મધમાખીના ઝુંડનું આમ અચાનક સ્મશાન ગૃહમાં ઘસી આવતા પહેલા તો લોકોએ તેને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યું અને કેટલાક લોકો ભાગીને તેમની ગાડીમાં બેસીને મધમાખીથી બચવા માટે પોતાને બંધ કરી દીધા હતા.
પંચવટી મોક્ષધામમાં ઠાકુર બીર સિંહની શબયાત્રામાં આવેલ તમામ લોકોને અંતે હેલ્મેટ પહેરીને અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. એટલું જ નહિ તે પછી અંતિમ સંસ્કાર માટે આવેલો બીજો પરિવારે પણ આખા કપડા અને હેલ્મેટ સાથે અંતિમ સંસ્કારની વિધિ પૂરી કરી હતી.