લખનઉ : ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા અયોધ્યામાં ભગવાન રામની ૧૫૧ મીટર તાંબાની પ્રતિમાનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અયોધ્યા મુદ્દે સુનાવણી સુપ્રીમ કોર્ટમાંથી ટળ્યા બાદથી જ રામ મંદિર મુદ્દે રાજકીય ગરમાવો ઘણો વધી ગયો છે. આ પ્રકારની તમામ બાબતો વચ્ચે એક સમાચાર એવા છે કે, ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા અયોધ્યામાં 151 મીટર ઉંચી ભગવાન રામની તાંબાની પ્રતિમા બનાવવાનો નિર્ણય લઇ ચુકી છે. આ પ્રતિમા 36 મીટરના ચબુતરા પર રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત વર્ષે યુપીની યોગી સરકાર દ્વારા 100 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિમા મુકવા માટેની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે ‘નવ્ય અયોધ્યા’ યોજના હેઠળ ધાર્મિક પર્યટનને ઉત્તેજન આપવા માટે યોગી સરકાર દ્વારા રાજ્યપાલ રામ નાઈકને આ અંગેનું પ્રપોઝલ પણ દેખાડવામાં આવ્યું હતું.
ભગવાન રામની પ્રતિમા માટે રૂ. 330 કરોડ સુધીના ખર્ચનો અંદાજ
ઉત્તરપ્રદેશની યોગી સરકારના પર્યટન વિભાગની તરફથી ભગવાન રામની પ્રતિમાના મુદે મે-2018માં આ યોજના બનાવવામાં આવી હતી. યુપી સરકારની ‘નવ્ય અયોધ્યા’ યોજના અંતર્ગત સરયૂ નદીના કિનારા ઉપર ભગવાન રામની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવશે. આ અંગે અંદાજે રૂ. 330 કરોડ સુધીના ખર્ચનું અનુમાન કરવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર રામકથા ગેલેરી, પર્યટકોનાં રોકાણ માટેના સ્થળ, સુરક્ષાની દ્રષ્ટીથી સીસીટીવી કેમેરા, પોલીસ બુથ, આવન જાવનના સાધન સહિત અન્ય નાગરિક સુવિધાઓ જેવી કે, શૌચાલય તથા નિકાસની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. અગાઉ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, દિવાળી પર એક મોટી ખુશખબર આપવા માટે તેઓ અયોધ્યા જઇ રહ્યા છે.
ગત વર્ષે પણ યોગી સરકાર દ્વારા કરાઈ હતી જાહેરાત
ગત્ત વર્ષે પણ ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા અયોધ્યામાં 100 મીટર ઉંચી ભગવાન રામની પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભમાં તે સમયે યોગી સરકાર દ્વારા એક પ્રપોઝલ તૈયાર કરાવીને રાજ્યપાલ રામ નાઈકને પણ દેખાડવામાં આવી હતી. ત્યારે આ પ્રપોઝલમાં જણાવવામાં આવ્યું હતું કે, અયોધ્યાને પર્યટનની દ્રષ્ટિએ માનચિત્ર પર ઉભારવાના લક્ષ્યાંકથી સરયૂ નદીના કિનારા ઉપર ભગવાન રામની ભવ્ય પ્રતિમાનું નિર્માણ રાજ્યના પર્યટન વિભાગ દ્વારા કરાવવામાં આવશે. આ યોજના માટે રાષ્ટ્રીય હરિયાળી નિગમ (NGT) પાસેથી એનઓસી પણ લેવામાં આવશે.
આ દરમિયાનમાં બીજી તરફ શુક્રવારે ઉતરપ્રદેશ ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેય દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુખ્યમંત્રી સાથે મોટા સંત પણ છે. નિશ્ચિત રીતે તેમણે અયોધ્યા માટે યોજના બનાવી છે. દિવાળી પર ખુશખબરીની રાહ જુઓ, મુખ્યમંત્રીના હાથે આ યોજના સામે આવશે તે જ યોગ્ય ગણાશે. યોગીએ એમ પણ જણાવ્યું હતું કે, સંત સમાજે તો ધૈર્ય રાખવાનું છે. તેમના કારણે રામ મંદિરના મુદ્દે રાજકીય ગરમાવો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરએસએસ સહિતના વિવિધ હિંદુવાદી સંગઠનો દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે અને વહેલી તકે રામ મંદિર બાંધવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો વર્ષ ૧૯૯૨માં કરાયેલા આંદોલન જેવું આંદોલન શરુ કરવાની ચીમકી પણ આપવામ આવી છે.