nepal news/ નેપાળ-તિબેટ બોર્ડર પર કુદરતનો કહેર,1000 ગુમ, 100 મોત

નેપાળ-તિબેટ સરહદ નજીક બુધવારે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે (Nepal Flood)અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો છે

Top Stories World
નેપાળ-તિબેટ સરહદ નજીક બુધવારે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે (Nepal Flood)અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો છે

Nepal News : નેપાળ-તિબેટ સરહદ નજીક બુધવારે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે (Nepal Flood)અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો છે. રસૂવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો અને ત્યારબાદ કાદવ, પથ્થરો તથા કાટમાળ સાથેનું પાણી નીચાણવાળા વિસ્તારો તરફ ધસી ગયું.

નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંજ સુધીમાં 95 લોકોનાં મોતની પુષ્ટિ થઈ હતી, જ્યારે સેંકડો લોકો હજુ લાપતા છે. આ આંકડો રેસ્ક્યૂ ઓપરેશન આગળ વધતાં બદલાઈ શકે છે.

વહીવટીતંત્ર અને મંત્રાલયની ટીમ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે : કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું છે કે, “આજે ચીન-નેપાળ સરહદ પર વાદળ ફાટવાની શંકાસ્પદ ઘટના બની છે, જેના કારણે ત્યાં પાણીનો પ્રવાહ 12 મીટરથી વધુ વધી ગયો છે. ત્રિશુળી નદીના જળસ્તરમાં અચાનક વધારો થવાથી ત્યાં પણ નોંધપાત્ર નુકસાન થયું છે…” વહીવટીતંત્ર અને મંત્રાલયની ટીમ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને નુકસાન ન્યૂનતમ રહે તે સુનિશ્ચિત કરી રહી છે.

133 ભારતીયો સહિત અનેક લોકો લાપતા

આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો પણ મોટી સંખ્યામાં અસરગ્રસ્ત થયા છે. નેપાળી અધિકારીઓના જણાવ્યા મુજબ 133 ભારતીયો લાપતા હોવાની માહિતી છે. આ ઉપરાંત અન્ય દેશોના પ્રવાસીઓ અને કૈલાશ માનસરોવર યાત્રાળુઓ પણ ગુમ થયેલા લોકોમાં સામેલ છે.

રેસ્ક્યૂ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. રસ્તા, પુલ અને વીજળીના પ્રોજેક્ટને નુકસાન થતાં બચાવ કામગીરી પણ મુશ્કેલ બની છે.

કેવી રીતે આવ્યું આ ભયાનક પૂર?

પ્રાથમિક માહિતી અનુસાર, આ પૂર સામાન્ય ભારે વરસાદના કારણે આવ્યું ન હતું. સરહદ નજીક પહાડી વિસ્તારમાં બરફ અને પથ્થરોના મોટા પ્રમાણમાં ખસવાથી પાણીનો અચાનક પ્રવાહ સર્જાયો હોવાની શક્યતા છે. રોયટર્સના અહેવાલ મુજબ સેટેલાઇટ તસવીરોમાં આશરે 5,200 મીટરની ઊંચાઈએ ગ્લેશિયરના એક મોટા હિસ્સો તૂટીને નીચે પડ્યાના સંકેતો મળ્યા છે. નેપાળના અધિકારીઓએ એ પણ જણાવ્યું છે કે તિબેટ વિસ્તારમાં ભૂકંપ નોંધાયા બાદ થોડા જ સમયમાં પૂર આવ્યું હતું. તેથી ભૂકંપ અને ગ્લેશિયલ ઘટના વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે

ફરી પૂરનો ખતરો યથાવત

સૌથી મોટી ચિંતા એ છે કે પાણીનો ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. અસરગ્રસ્ત વિસ્તારમાં નદીના પ્રવાહને રોકતા પાણીના જથ્થા અંગે ચેતવણી આપવામાં આવી છે.

અધિકારીઓએ ભોટેકોશી અને ત્રિશૂલી નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે જવા અને નદીથી દૂર રહેવાની અપીલ કરી છે.

અનેક જિલ્લાઓમાં તબાહી

પૂરની અસર રસૂવા ઉપરાંત નુવાકોટ, ધાડિંગ, ગોરખા, ચિતવન, તનહું અને નવલપરાસી ઈસ્ટ સહિતના વિસ્તારોમાં જોવા મળી છે.

પૂરના તેજ પ્રવાહે અનેક રસ્તાઓ અને પુલોને નુકસાન પહોંચાડ્યું છે. કેટલાક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ અસરગ્રસ્ત થયા છે, જેના કારણે સ્થાનિક વીજળી પુરવઠા પર પણ અસર પડી છે.

આંબાના ઝાડે મારો જીવ બચાવ્યો’

આ વિનાશ વચ્ચે નેપાળના બિદુરના 24 વર્ષીય મજૂર વિવેક કુમાલની કહાની રેસ્ક્યૂની ભયાનક સ્થિતિ દર્શાવે છે.

કુમાલ એક નવા બનેલા મકાનની બહાર ખાડો ખોદી રહ્યો હતો ત્યારે અચાનક પાણી, કાદવ અને પથ્થરોનો જોરદાર પ્રવાહ તેની તરફ આવ્યો. તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પૂરનો પ્રવાહ તેને પોતાની સાથે ખેંચી ગયો.

પરંતુ થોડે દૂર આવેલા આંબાના ઝાડમાં તે અટવાઈ ગયો. બાદમાં પોલીસે તેને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો.

પૂરના પ્રવાહ અને પથ્થર વાગવાથી તેના જમણા પગમાં ઈજા થઈ છે. હોસ્પિટલમાંથી વાત કરતાં તેણે જણાવ્યું કે જો આંબાનું ઝાડ ન હોત તો કદાચ તેનો જીવ બચ્યો ન હોત.

ભારતે મદદનો હાથ લંબાવ્યો

નેપાળમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતે માનવતાવાદી સહાય મોકલી છે. ભારતે 10 ટન રાહત સામગ્રી અને જરૂરી દવાઓ નેપાળ મોકલી છે.

ભારત તરફથી અસરગ્રસ્ત લોકો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નેપાળને શક્ય તમામ માનવતાવાદી મદદની ખાતરી આપી છે.

આંતરરાષ્ટ્રીય મદદ પણ મળી રહી છે

પૂરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ રાહત કામગીરીમાં જોડાઈ રહી છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝે નેપાળમાં તાત્કાલિક રાહત માટે લગભગ CHF 1 મિલિયનની ઇમરજન્સી ફંડિંગ જાહેર કરી છે.

નેપાળ સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ, મેડિકલ સારવાર અને જરૂરી માળખાકીય સુવિધાઓ પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી કરી રહી છે.

રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

નેપાળની સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળની ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. લાપતા લોકોની શોધખોળ સાથે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે.

હાલમાં સૌથી મોટો પડકાર છે—લાપતા લોકો સુધી પહોંચવું, નદીના વધતા જોખમથી લોકોને બચાવવું અને રસ્તા-પુલ તૂટવાના કારણે કટ-ઓફ થયેલા વિસ્તારો સુધી રાહત પહોંચાડવી.


આ પણ વાંચો : આસામ પૂર હોનારત: 6 લાખ લોકો બેઘર, 68 ના મોત; સંકટના સમયે મદદ માટે સલમાન ખાને લંબાવ્યો હાથ

આ પણ વાંચો : મોરબી હોનારતમાં રાહતના સમાચાર, હોનારતનું બચાવકાર્ય પૂર્ણ જાહેર કરાયું, રાહત કમિશનરની બેઠકમાં લેવાયો નિર્ણય

આ પણ વાંચો : જળદિવસે જળતાંડવની ઘટના, ઓસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સમાં હોનારત, 100 વર્ષનું સૌથી મોટું પૂર