રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે ISIS આતંકીઓ મુદ્દે ગૃહ મંત્રાલયનો દરવાજો ખટખટાવ્યો છે. સાંસદ અહેમદ પટેલે કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહને પત્ર લખીને દક્ષિણ ગુજરાતમાંથી ઝડપાયેલાં ૨ ISIS ના આતંકીઓના કેસની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા માટે માંગણી કરી છે. જે કસૂરવાર હોય તેમની સામે તેનાં ધર્મ કે જોડાણને નજરમાં રાખ્યાં વિના કડક કાર્યવાહી થવી જોઇએ.
એહમદ પટેલે પત્રમાં જણાવ્યું છે કે, એન્ટિ ટેરર સ્ક્વોડે(ATS) દ.ગુજરાતમાંથી ૨ આંતકીઓને ઝડપ્યાં છે તે બાબત રાજ્યની સલામતી માટે ગંભીર પડકારજનક છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિમાં લોકો શાંતિપૂર્ણ રીતે સહજીવન જીવી રહ્યાં છે. આવા બનાવોથી સ્થાનિક વસતીમાં વિરોધી લાગણી જન્મતી હોય છે. આપણાં ગુજરાતીઓ જેને ગુજરાતની અસ્મિતા તરીકે ઓળખે છે ત્યારે આ બનાવની ગંભીરતાથી સક્ષમ એજન્સી દ્વારા તપાસ થવી જોઇએ.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી કોઇ પણ બાબતને રાજકીય ન બનાવવી જોઇએ. ખાસ કરીને જ્યારે રાષ્ટ્રીય સલામતીની બાબત હોય ત્યારે આ કેસમાં પાયાવગરના આક્ષેપો દ્વારા રાજકીય વિરોધીઓની છબિ ખરડીને લાભ લેવો ન જોઇએ.