રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે લોકસભામાં એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકાર આવતા 3 મહિનામાં ઘણા ગેરકાયદે ટોલ નાકા બંધ કરવા જઈ રહ્યા છે,
નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં 60 કિલોમીટરથી ઓછા અંતર વચ્ચે ટોલ નાકા ન હોઈ શકે. પરંતુ ઘણી જગ્યાએ આવા ટોલનાકા ચાલી રહ્યા છે. ગડકરીએ કહ્યું, “આજે હું ગૃહને ખાતરી આપું છું કે સરકાર આગામી 3 મહિનામાં આવા તમામ ટોલ નાકા બંધ કરવા જઈ રહી છે. કારણ કે આ ખોટું કામ છે અને આવા ટોલ નાકા ચલાવવા ગેરકાયદેસર છે.
દેશના ઘણા વિસ્તારોમાં, લોકોને નજીક અથવા ખૂબ ઓછા અંતરની મુસાફરી કરવા માટે પણ ટોલ ચૂકવવો પડે છે, કારણ કે નવા રસ્તાઓ અને ધોરીમાર્ગોનું નિર્માણ તેમના ગામોના અંતર વચ્ચે ટોલ અવરોધ તરફ દોરી જાય છે. આ સમસ્યાના ઉકેલ અંગે ગૃહના સૂચનને સ્વીકારતા નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર આધાર કાર્ડ મુજબ જે તે વિસ્તારના લોકોને પાસ આપશે.