કોરોના વાયરસના કેસો છેલ્લા કેટલાક કેટલાક સમયથી ઓછા થઈ રહ્યા છે, ત્યારે હવે બીજી તરફ સરકાર દ્વારા વેક્સીનેશન પણ ૧૬ જાન્યુઆરીથી શરુ કરવામાં આવનાર છે, ત્યારે આ આ પહેલા જ કોરોના વેક્સીનનો પહેલો જથ્થો આજે અમદાવાદ પહોંચી ગયો છે.
અમદાવાદ એરપોર્ટ પર કોરોનાની વેક્સીન આવતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પીએમ મોદીનો આભાર માનતા કહ્યું હતું કે, “સમગ્ર દેશ જેની રાહ જોઇ રહ્યો છે તે, કોરોના વેક્સીનનો જથ્થો વડાપ્રધાન મોદી, ભારત સરકારે મોકલી આપ્યો છે. પ્રથમ તબક્કાનો રાઉન્ડ 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરૂ થઇ રહ્યો છેતેના માટેનો વેક્સીનનો જથ્થો પુરો પાડવાની ભારત સરકારે શરૂઆત કરી છે, જેના ભાગરૂપે આજે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારે પૂણેથી મોકલેલા 2 લાખ 76 હજાર વેક્સીનનો પ્રથમ તબક્કાનો જથ્થો સ્વીકાર્યો છે.
પ્રજાની લાગણી, જરૂરીયાત પુરી થાય તે માટે વડાપ્રધાને સતત પ્રયત્ન કર્યા હતા, તેના પુરાવા રૂપે આજે અમદાવાદ એરપોર્ટ પર આ જથ્થો અમે સ્વીકાર્યો છે.નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, “સમગ્ર દેશમાં 30 કરોડ નાગરિકોને વેક્સીનેશન આપવાનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં 3 કરોડ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ડોક્ટર, નર્સિગ સ્ટાફ, સફાઇ કામદારોને 16 તારીખથી વેક્સીનેશનની શરૂઆત થશે.
વાત ગાંધીનગરમાં આવેલા વેક્સિન સ્ટોરેજની કરીએ તો, અહીં 8 થી 10 લાખ ડોઝ રાખી શકાશે. વેક્સિનના સ્ટોરેજ માટે 2 થી 8 ડિગ્રીનું તાપમાન મેઈન્ટેઈન કરાશે. તો તેના વહન દરમિયાન પણ એવાજ વાહનોનો ઉપયોગ થશે કે જેમાં આ તાપામાન મેઈન્ટેઈન થઈ શકે.
વડોદરા શહેર-જિલ્લામાં પણ વેક્સિનના સ્ટોરેજ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામા આવી છે. વડોદરા મનપાના સેંટ્રલ વેકિસન સ્ટોરેજ પર 2 થી 8 ડિગ્રી વેક્સિન સંગ્રહ કરવાની વ્યવસ્થા ઉભી કરી દેવામા આવી છે. તો અહીંથી શહેરના 34 હેલ્થ સેન્ટર પર સલામત રીતે વેક્સિન પહોંચે તે માટે જરુરી વાહનોની વ્યવસ્થા પણ કરી દેવામા આવી છે.
વડોદરા શહેરના UHC ઉપરાંત જિલ્લાના 50 પીએચસી સેન્ટર પર વેક્સિન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી દેવામા આવી છે. વડોદરામાં 16 તારીખથી વેક્સિનેશન શરૂ કરાશે. પ્રથમ 17000 હેલ્થ વર્ક્સનું વેક્સિનેશન કરાશે.
સુરત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે વેક્સિનના સ્ટોરેજ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલો રિજનલ વેક્સિન સ્ટોરમાં દસ લાખ વેક્સિનના ડોઝનો સંગ્રહ થઈ શકે તેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. જો કે, હાલના તબક્કે અહીં કોરોના વેક્સિનના 93 હજાર 500 ડોઝ આવવાની પ્રાથમિક માહિતી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…