અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના નેતા હાર્દિક પટેલ ફરી એક વખત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. હાર્દિક પટેલ હાલમાં બેંગલુરુ ખાતે નેચરોપેથીની સારવાર લઈ રહ્યો છે. હાર્દિક પટેલ હવે ગાંધી જયંતિના દિવસથી પોતાની ત્રણ જૂની માંગણીઓ સાથે પ્રતિક ઉપવાસ કરશે. આ અગાઉ તે અમદાવાદ ખાતે તેના નિવાસસ્થાને ૧૯ દિવસ સુધી ઉપવાસ કરી ચૂક્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. બીજી ઓક્ટોબર, એટલે કે ગાંધી જયંતિના દિવસથી પાસ નેતા હાર્દિક પટેલ મોરબીના બગથળા ગામેથી પ્રતિક ઉપવાસ શરુ કરશે. હાર્દિક પટેલ તેની મુખ્ય ત્રણ માંગણીઓને લઈને ઉપવાસ શરુ કરશે. આ ત્રણ માંગણીઓમાં ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને અનામત અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિનો સમાવેશ થાય છે.
હાર્દિક પટેલ ગત તા. 25 ઓગસ્ટથી 19 દિવસના ઉપવાસ કરી ચૂક્યો છે
પાસ નેતા હાર્દિક પટેલ આ અગાઉ ગત તા. 25 ઓગસ્ટથી 19 દિવસ સુધી ઉપરની ત્રણેય માંગણીઓને લઈને પ્રતિક ઉપવાસ કરી ચૂક્યો છે. જો કે, સમાજના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિક પટેલે 19માં દિવસ પછી પારણા કરી લીધા હતા.
ઉપવાસ દરમિયાન તબિયત લથડતા હાર્દિક પટેલને બે દિવસ માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. અંતે પાટીદારની છ મુખ્ય સંસ્થાઓના આગેવાનોની સમજાવટ પછી હાર્દિક પટેલે પારણાં કરી લેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સરકાર તરફથી હાર્દિક પટેલને મળવા માટે કોઈ જ પ્રતિનિધિ પહોંચ્યા ન હતા.
મોદી-શાહ સામે કટાક્ષ કરતું હાર્દિકનું ટ્વીટ
હાર્દિક પટેલે સોમવારે પીએમ મોદી પર કટાક્ષ કરતું એક ટ્વીટ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, “ભારતરત્ન અટલજીની અંતિમ યાત્રામાં નવ કિલોમીટર ચાલવાનો દેખાડો કરવા કરતાં અટલજીના સિદ્ધાંતો પર બે કદમ ચાલ્યા હોત તો આજે દેશની સુરક્ષા સાથે છેડછાડ થઈ ન હોત. અટલજીના ચીંધ્યા માર્ગે ચાલવાની જરૂર છે. જે લોકો સિદ્ધાંતો સાથે નથી ચાલી શકતા તે લોકો દેશને ન ચલાવી શકે.”