કેરળ મંત્રીમંડળે, નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) વિરુદ્ધ પોતાનું વલણ સખત બનાવ્યા પછી, સોમવારે વિશેષ બેઠક યોજીને, વસ્તી ગણતરી કમિશનરને જાણ કરવાનો નિર્ણય લીધો છે કે, વસ્તી ગણતરી દરમિયાન રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) લાગુ નહીં પડે. રાજ્યના સ્થાનિક વહીવટ પ્રધાન એ.સી. મોઇદીને મીડિયાને જણાવ્યું કે આ બાબત, મુખ્ય પ્રધાન પિનરાય વિજયન પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે.
મંત્રીમંડળની બેઠક બાદ, મોઇદીને મીડિયાને કહ્યું, “NCR-NPR મામલે નિર્ણય લેવામાં આવ્યો છે અને સેન્સસ ડિરેક્ટોરેટને કહેવામાં આવશે કે, NPRની તૈયારી માટેના કેટલાક ચોક્કસ પ્રશ્નોનો અહીં સમાવેશ કરવામાં આવશે નહીં.”
પંજાબ પછી, કેરળ દેશનું બીજું રાજ્ય બન્યું છે જ્યાં એનપીઆરની તૈયારી માટે કોઈ પગલા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી અને ત્યાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) પણ અમલી નહીં હોય.
વિજયન મંત્રીમંડળે રવિવારે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ) ની સેન્ટ્રલ કમિટીના નિર્ણયને અનુસરવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં વસ્તી ગણતરીનો કાર્યક્રમ આગળ વધી શકે છે, પરંતુ લોકોને એનપીઆરને લગતા પ્રશ્નોના જવાબ ન આપવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાએ સીએએ વિરુદ્ધ ગત મહિને ઠરાવ પસાર કર્યો હતો અને 13 જાન્યુઆરીએ કેરળ દેશનું પહેલું રાજ્ય બન્યું હતું, જેણે સીએએને ગેરબંધારણીય જાહેર કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.