બંગાળ અને દિલ્હી નગર નિગમની ચૂંટણીનાં મેદાનમાં ઉતરીને ભાજપને પાઠ ભણાવવાની બિહારના સાત વખત મુખ્યમંત્રી રહી ચકેલા અને વિકાસપુરૂષની છાપ ધરાવનાર નેતાની વ્યૂહરચના
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આમ તો કાંઈ કોઈથી ડરે તેવા રાજકારણી નથી. સાત વખત મુખ્યમંત્રી બનવાનો વિક્રમ ધરાવનાર અને સાથીઓ બદલવામાં પણ હોંશિયાર ગણાતા નીતિશકુમાર સામે તેમના વિરોધીઓ ભલે ગમે તેવી છાપ લગાવવા કોશિશ કરે, પરંતુ તે એક સારા રાજકીય નેતા છે, તે વાતની નોંધ તો લેવી જ પડે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમની અને તેમની પાર્ટી સાથે જે ખેલ ખેલાયો અને તેના કારણે બિહાર વિધાનસભામાં જનતા દળ (યુ)નું કદ ઘટી ગયું. આમ છતાં ભાજપે તેમને મુખ્યમંત્રી પદે બેસાડ્યા પણ બે-બે નાયબ મુખ્યમંત્રીઓ પોતાના પક્ષના મૂકી તેમના પર એક પ્રકારનો અંકુશ લગાવી દીધો. આ કાંઈ જેવી તેવી વાત કે સિધ્ધી તો હરગીઝ નથી. નીતિશકુમારે ગમ ખાઈ આ ઘા સહન કરી લીધો છે. ભલે ગૃહખાતા સિવાયના બીજા મહત્ત્વના ખાતા ભાજપના પ્રધાનોને આપવા પડ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન પદ માટે તેમના ખાસ મિત્ર ગણાતા સુશીલ મોદી પટણાથી દૂર જ રહે તેવી વ્યવસ્થા ભાજપે ગોઠવી છે. આ નીતિશકુમાર પર એક ઘા જ હતો. છતાં આ આઘાત નીતિશકુમારે મૌન સેવી સહન કરી લીધો.
બિહારમાં ભાજપ-લોજપેએ પાડ્યો ખેલ
બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા. મતદારોના આંકડા પણ બહાર આવી ગયા ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, જનતાદળ (યુ) જ્યાં લડતો હતો અને હાર્યો છે. તેવી ૩૨ કરતાં વધુ બેઠકો પર પહેલા રામવિલાસ પાસવાન અને હાલ ચીરાગ પાસવાન જેના સુપ્રિમો છે, તે લોકજનશક્તિ પાર્ટીના ઉમેદવારો નોંધપાત્ર પ્રમાણમાં મતો મેળવી જદયુના ઉમેદવારોને હરાવવામાં સિંહ ભૂમિકા ભજવ્યો છે. ત્યારબાદ પણ જયારે પત્રકારોએ નીતિશકુમારને પૂછ્યું કે, ચીરાગ પાસવાનનું શું કરશો ? તે અંગે નીતિશકુમારે કહ્યું કે, તે બાબત ભાજપ અને એન.ડી.એ. નક્કી કરશે. ચૂંટણી બાદ પણ ચીરાગ પાસવાન એન.ડી.એ.થી દૂર ગયા જ નથી તેમજ તાજેતરમાં દિલ્હી ખાતે જે એન.ડી.એ.ની સંકલન સમિતિની બેઠક મળેલી તેમાં ચીરાગ પાસવાનને હાજર રહેવા આમંત્રણ અપાયું હતું. પરંતુ અંગત કારણ બતાવી આ બેઠકમાં ચીરાગ પાસવાન હાજર ન રહ્યા તે અલગ વાત છે.
ચીરાગને આપી મુક છુટ
બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે પણ લોજપાએ માત્ર જનતાદળ (યુ) જ્યાં લડતો હતો, ત્યાં જ ઉમેદવારો મૂક્યા હતા. ભાજપ જ્યાં લડતો હતો, ત્યાં લોજપના કોઈ ઉમેદવાર નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિશકુમારના ખૂબ વખાણ કરતાં હતા. તેમની સરકારને ડબલ એન્જિનવાળી સરકાર કહેતા હતા. તો બીજી બાજુ ગૃહમંત્રી અમીત શાહે બિહારમાં જે રેલીઓ સંબોધી તેમાં નીતિશકુમારના વખાણ કરી નીતિશકુમાર મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે તેવા ગાણા સતત ગાવામાં આવ્યા હતા. બીજી બાજુ મોદી – શાહ કે અન્ય કોઈ કેન્દ્રના પ્રધાનો હોય તેઓના કોઈએ ચીરાગ પાસવાન સામે એક હરફ પણ બોલ્યા નથી. તેઓ એન.ડી.એ. સાથે નથી તેમ પણ કહ્યું નથી.
ચીરાગ પાસવાને માત્રને માત્ર જનતા દળ (યુ) અને નીતિશકુમાર પર જ આકરા પ્રહારો કર્યા છે, ભાજપ પર નહિં. તે શું સૂચવે છે ? એન.ડી.એ. થી અલગ રીતે લડવાની જાહેરાત કરતાં પહેલા ચીરાગ પાસવાને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. તેનો સંકેત એ જ હતો કે, જનતાદળ (યુ)ની બેઠકો ઘટાડી નીતિશકુમારને કદ પ્રમાણે વેતરવાનો રોડમેપ દિલ્હીમાં જ ઘડાયો હતો અને જેનો અમલ બિહારમાં થયો, તે વાસ્તવિકતા છે.
મુસ્તદ્દી રહ્યા મુંગા
વાત અહિંથી અટકતી નથી. બિહારની ચૂંટણીના ટૂંકા ગાળા બાદ અરૂણાચલમાં જનતાદળ (યુ)ના છ ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ અપાયો. આ કોઈ એકાએક બનેલી ઘટના નહોતી. અરૂણાચલમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. જદ(યુ) એન.ડી.એ.ના એક ઘટક તરીકે ભાજપને ત્યાં ટેકો આપતો જ હતો. જનતા દળ (યુ)ના નવનિયુક્ત પ્રમુખ આરપી સિંહે તો આ બાબત અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને કહેલ કે જનતા દળ (યુ) સાથે થઈ રહેલી દગાખોરીનો પણ સામનો કરવાનો છે. તે વખતે બિહારના નાયબ મુખ્ય પ્રધાનપદે રહેલા બન્ને મહાનુભાવોએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ તમામ છ ધારાસભ્યો પોતાની મરજીથી ભાજપમાં જોડાયા છે.
આવી હોઇ શકે ચાણક્ય સામે ચાણક્યની યોજના
ભલે દિલ્હીમાં ચાલતા ખેડૂત અંદોલન અંગે નીતિશકુમારે મૌન સેવ્યું હોય. પરંતુ તેમણે જે રીતે બજેટને આવકાર્યું તે રીતે કૃષિકાયદાને પણ સમર્થન આપ્યું નથી અને ખેડૂત આંદોલનનો વિરોધ પણ કર્યો નથી. આ શું સૂચવે છે ? હવે તાજેતરમાં જનતાદળ (યુ)ના પ્રમુખ આર.પી. સિંહે એવી જાહેરાત પણ કરી કે જનતાદળ (યુ) બંગાળ વિધાનસભા અને દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી લડશે. બંગાળમાં જનતાદળ (યુ) અમુક એવી બેઠકો પર મેદાનમાં ઉતરશે, જ્યાં તે ટી.એમ.સી.ને નહિ પણ ભાજપને નુકસાન કરી શકે. જ્યારે બીજી બાજુ દિલ્હીના ત્રણેય નગરનિગમો પર વર્ષોથી ભાજપનો કબ્જો છે. ભાજપની સત્તા છે. દિલ્હીમાં કોંગ્રેસને સાફ કરી ચૂકેલા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નગર નિગમો પરનું ભાજપનું વર્ચસ્વ તોડવા તમામ તાકાત કામે લગાવવાના છે. જેથી તો ભાજપે કેજરીવાલ સરકાર નગરનિગમોને પુરતું અનુદાન આપતી નથી તેવો મુદ્દો ચગાવીને આંદોલન પણ કર્યું હતું. જો કે નિરિક્ષકો કહે છે તે પ્રમાણે આ જ ભાજપના આગેવાનો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા બાબતમાં કે કેન્દ્ર પાસેથી દિલ્હી સરકારને વિવિધ પ્રોજેક્ટો અપાવવા બાબતમાં જરાય સક્રિય નથી. આથી જ દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે આમને સામને આવવું પડે તેવા બનાવો વધ્યા છે.
ભાજપની ચાલથી ભાજપને જ માત?
ખેડૂત આંદોલનને કેજરીવાલે ટેકો આપી દીધો છે. દિલ્હીની સરહદે બે માસ કરતાં લાંબા સમયથી ધરણા કરી રહેલા ખેડૂત સંગઠનોને પોતાનાથી બનતી તમામ મદદ કરી છે. હવે કેજરીવાલે જ્યારે દિલ્હી નગર નિગમોમાંથી ભાજપની સત્તાનો અંત લાવવા વ્યૂહરચના ઘડી ભાજપ સામે પડકાર ઉભો કર્યો છે. ત્યારે જનતાદળ (યુ)ના પ્રમુખે એવી જાહેરાત કરે કે, અમે દિલ્હી નગર નિગમોની મોટા ભાગની બેઠકો પર ઉમેદવારો મુકશું તે શું સૂચવે છે ? બિહારમાં ચીરાગ પાસવાને જનતાદળ (યુ)ને અને ઔવેસીએ જે નુકસાન મહાગઠબંધનને કર્યુ તેવું જ નુકસાન બંગાળ અને દિલ્હીમાં ભાજપને થાય તે માટેની વ્યૂહરચના જનતાદળના પ્રમુખ આર પી સિંહે ઘડી છે. ભાજપને સીધો કરવા માટે જ નીતિશકુમારે જનતાદળ (યુ)નું પ્રમુખપદ છોડીને તેનો હવાલો આર પી સિંહ જેવા પોતાના નિકટના સાથીદારને સોંપ્યો છે.
ભાજપની પ્રચલિત ચાલ જ નીતિશની ઢાલ
ઘણા રાજકીય વર્તૂળો એમ પણ કહે છે કે નીતિશકુમાર વહેલા યા મોડા આરજેડી કે મહાગઠબંધન સાથે ફરી સગવડિયું જોડાણ કરી શકે છે. ચૂંટણી વખતે તો ભાજપે ચીરાગ પાસવાનના ટેકા સાથે સરકાર રચવાની યોજના ઘડી હતી. પણ ચીરાગ પાસવાનને સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક મળી એટલે આ વ્યૂહ પડી ભાંગી અને તે વખતે ભાજપ બીજી કોઈ સખળદખળ કરે તો નીતિશકુમાર મહાગઠબંધનનો સાથ લઈ શકે છે તેવા ભયથી જ ભાજપે નીતિશકુમારનો પક્ષ જનતાદળ (યુ) નાના ભાઈની ભૂમિકામાં હોવા છતાં તેમનું નેતૃત્વ નીતિશકુમારને સોંપ્યું હતું. પરંતુ હવે જ્યારે નીતિશકુમાર અને તેમના પક્ષને રાજકીય મંચ પર કદ પ્રમાણે વેંતરી નાખવાનો બીજો વ્યૂહ ભાજપે ઘડ્યો છે. ત્યારે નીતિશકુમાર પણ પોતાની સત્તા રહે કે ન રહે પણ ભાજપ સામે તેની જ રમત રમે અથવા તો ભાજપ સામે ભાજપ અન્ય પક્ષો સામે વાપરે છે તે જ હથિયારનો ઉપયોગ કરે તો કોઈને આશ્ચર્ય નહિ થાય.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…