અનાથ આશ્રમ રહેનાર નિરાધાર બાળકને જયારે માતા-પિતા મળે ત્યારે તે બાળકને ભગવાન મળ્યાનો આનંદ થતો હોય છે. તે બાળક અને તે અનાથ આશ્રમના લોકોમાં પણ અનોખી ખુશીની લહેર જોવા મળે છે. ત્યારે આવું જ એક ખુશીનું વાતાવરણ નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમમાં સર્જાયું હતું.
અમેરિકામાં રહેતા NRI દંપતિ દ્વારા 2 વર્ષિય બાળકને દત્તક લીધું અને તે બાળકનો ઉછેર તે દંપતી દ્વારા અમેરિકામાં કરવામાં આવશે. જેને લઈ અનાથ આશ્રમમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યાં હાજર તમામ લોકોની આંખમાં હરખના આસું આવી ગયા હતા.
અમેરિકામાં રહેતા વડોદરાના પટેલ દંપતી નિલેષભાઈ અને જીનલબેન દ્વારા નડીયાદના માતૃછાયા અનાથ આશ્રમમાંથી બે વર્ષના બાળકને દત્તક લેવામાં આવ્યો છે. આ સમયે ખેડાના નડિયાદમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમમાં આજે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બે વર્ષના બાળકને માતા-પિતાનું વ્હાલ મળશે તો એનઆરઆઈ કપલને બાળકનો પ્રેમ મળશે.
દંપતિને પણ સંતાનનો પ્રેમ મળતા ચહેરા પર એક વહાલભરી ખુશી છવાઈ હતી. અનાથ આશ્રમના તમામ લોકોએ ખુબ જ ખુશી અને ઉત્સાહ સાથે બાળકને વિદાય આપી હતી. માતૃછાયા અનાથ આશ્રમ દ્વારા અત્યાર સુધીમાં 300 જેટલા બાળકોને દત્તક અપાયા છે. જે બાળકોને આજે માતાપિતાનો પ્રેમ મળી રહે છે.
માતૃછાયા અનાથ આશ્રમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં NRI દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સત્તા મંડળ, નડિયાદના સેક્રેટરી આર. એલ. ત્રિવેદી, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રાકેશ રાવના હસ્તે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બાળકને દંપતિને દત્તક અપાયુ હતો. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ સ્ટાફ, બાળ કલ્યાણ સમિતિના સભ્ય રાજેન્દ્રપ્રસાદ, બિનિતા બેન, આશ્રમના ડિરેક્ટર સી.મીના મેકવાન, અધિક્ષક સંદીપ પરમાર, સોશ્યલ વર્કર સી.શીતલ પરમાર સહિત મહાનુભવો હાજર રહ્યા હતા.
