બંગાળમાં ટી એમ સી, આસામમાં ભાજપનું રાજ યથાવત કેરળમાં ડાબેરીઓ ફરી સત્તા પર તેમજ ડીએમકે ની તમિલનાડુમાં સત્તા વાપસીના સંકેત
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કોરોનાના કહેર વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયુ છે. અને પાંચેય રાજ્યોના એક્ઝીટ પોલના તારણો પણ જાહેર થયા છે. કુલ સાત જેટલી ચેનલો અને માર્કેટિંગ એજન્સીઓ દ્વારા મતદાનના દિવસે મતદારોનો મુડ જાણવામાં આવ્યો હતો. સૌ પ્રથમ જ્યાં સૌથી વધુ તાકાત કેન્દ્રના સત્તાધારી પક્ષ ભાજપે કામે લગાડી હતી તે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો સાત પૈકી પાંચ મોજણીમાં ટી એમ સી મેદાન મારતી નજરે પડે છે. કોઈ મોજણીકાર સંસ્થાની આંકડાકીય માયાજાળમાં પડ્યા વગર સરેરાશ કાઢીએ તો ટીએમસી ૧૫૮ જેટલી બેઠક સાથે સત્તાની હેટ્રિક કરે છે, જ્યારે ભાજપ ૧૧૫ જેટલી બેઠકો સાથે બંગાળમાં પોતાનું સ્થાન મજબૂત બનાવે છે.
જ્યારે ડાબેરીઓ અને કોંગ્રેસના જોડાણનો કુલ ૨૦ થી ઓછી બેઠકો સાથે સફાયો થાય છે. અન્ય બે મોજણીમાં૧૪૩ થી ૧૭૩ બેઠકો સાથે ભાજપ સત્તા મેળવે છે તેમજ ટી એમસીને ૧૧૩ થી ૧૩૩ બેઠકોનો અંદાજ મુકાયો છે. આમાં પણ ડાબેરીઓના જોડાણની તાકાત સોળ બેઠકોથી વધતી નથી. આમ તારણ કાઢીએ તો મમતા બેનરજીની બેઠકોમાં ૪૫ થી ૬૫ બેઠકોનું ગાબડું પડે છે, કારણકે ૨૦૧૬માં ટી એમ સીને ૨૯૪ માંથી ૨૧૧ બેઠકો મળી હતી જ્યારે ભાજપની તાકાત ૩ બેઠકોથી વધી સત્તા ન મળે તો પણ ૧૧૫ આસપાસ રહે તેવા સંકેત છે. જ્યારે ડાબેરીઓ અને કોંગ્રેસના જોડાણની તાકાત ૨૦૧૬ માં ૭૬ બેઠકોની હતી તે ઘટીને ૨૦ ની નીચે ઉતરી જાય છે. આમ તેનું સંપૂર્ણ ધોવાણ થાય છે.
આસામના એક્ઝીટ પોલના સંકેતો એવા છે કે ત્યાં ભાજપ ૬૧ થી ૮૬ બેઠકો સાથે સત્તા જાળવે છે જ્યારે કૉંગ્રેસ ૪૦ થી ૬૫ બેઠકો સાથે ઠેરના ઠેર રહે તેવી સ્થિતિ છે.
દેશના સૌથી વધુ શિક્ષીત ગણાતા કેરળમાં ડાબેરીઓની સત્તાનું પુનરાવર્તન થાય છે અને બીજી વાર સત્તા વપસીના સંકેત મળે છે. જ્યારે ત્યાં ભાજપ આંગળીના વેઢે ગણાય તેટલીજ બેઠકો મેળવી શકે તેમ છે. આંકડાકીય રીતે જોઈએ તો ત્યાં ડાબેરી મોરચાની ૭૨ થી ૧૦૦ અને કૉંગ્રેસની આગેવાની હેઠળના જોડાણ યુ ડી એફ ને ૨૦ થી ૬૪ વચ્ચે બેઠકો મેળવી સંતોષ માનવો પડે તેમ છે, જ્યારે ભાજપને ત્રણથી વધુ બેઠકો મળે તેવી પણ શકયતા નથી.
દક્ષિણના મહત્વના મનાતા ભાજપના સાથીદાર પક્ષ અન્ના ડીએમકે સત્તા ગુમાવે છે. ત્યાં ડી એમ કે કોંગ્રેસના જોડાણને ૧૬૮ થી ૧૭૩ બેઠકો સાથે સત્તા પરત મળે છે, જ્યારે અન્ના ડી એમ કે ભાજપ જોડાણને ૩૮ થી ૫૪ વચ્ચે બેઠકો મેળવી સંતોષ માનવો પડે તેવી હાલત છે.
પોન્ડીચરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવી હાલત છે એક્ઝીટ પોલ મુજબ કોંગ્રેસને ૧૪ થી ૧૭ અને ભાજપ જોડાણને ૬ થી ૧૬ બેઠકો મળે તેવું તારણ મુકાયું છે.
જો બીજી મેં નારોજ આવનારા પરિણામો એક્ઝીટ પોલ જેવા હોય તો એડવેન્ટેજ ભાજપ છે. અમુક રાજ્યોમાં તો વકરો એટલો નફો જેવીજ હાલત છે. જ્યારે સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે તો વેન્ટીલેટર પર રહેલા દર્દીની હાલત જેવાજ તારણ છે.
જો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આવા તારણો સાચા પડ્યા હતા પણ ૨૦૨૦ માં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝીટ પોલના નેવું ટકા તારણો ખોટા પડ્યા હતા તે વાત આ તબબકે નોંધવીજ પડશે બાકી તો બીજી મેં સુધી રાહ જ જોવાની રહી.