“એક સાંધે ત્યાં તેર તૂટે” એવી ગુજરાતી ભાષામાં એક કહેવત છે, જેને ગુજરાતમાં ખરાબ રીતે વણસી ગયેલી કોરોનાની સ્થિતિ સ્પષ્ટ રીતે સાબિત થઇ રહી છે. હકીકતમાં ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ચરમસીમાએ પહોંચી ગયો છે અને આ કારણે મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે.
બીજી તરફ આ વિકટ પરીસ્થિતિમાં રાજ્યની મોટા ભાગની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઓક્સીજન આપવો ખુબ જરૂરી છે, પરંતુ રાજ્યમાં હાલની સ્થિતિ એ છે કે, રાજ્યની નાનીથી લઈ મોટી એમ મોટા ભાગની હોસ્પિટલમાં ઓક્સીજનનો જથ્થો પુરતી માત્રામાં મળતો નથી.
સરકારનો હોસ્પિટલમાં જથ્થો પહોંચાડવા હુકમ
આ સ્થિતિને જોતા સરકારે રાજ્યની તમામ ઓક્સીજન બનાવતી કંપનીઓ અને સપ્લાયરોને ઓક્સીજનનો તમામ જથ્થો હોસ્પિટલમાં પહોંચાડવા માટે હુકમ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયની સીધી અસર ઓક્સીજન આધારિત ઉદ્યોગો પર પડી છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા તેમજ ભરૂચના અંકલેશ્વરમાં કોરોના વાયરસની આ સ્થિતિમાં ઓક્સીજન એ લોકોની સાથે સાથે ઉદ્યોગો માટે પણ પ્રાણવાયું છે, પરંતુ સરકાર દ્વારા હવે ઓક્સીજનનો પુરવઠો બંધ કરાતા વડોદરામાં ઓક્સીજન આધારિત ઉદ્યોગો માટે વગર લોકડાઉને લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સાઈન્ટીફિક ક્ષેત્રના ઉદ્યોગો થયા બંધ
આ કારણે અમદાવાદ, વડોદરા તેમજ ભરૂચના અંકલેશ્વરમાં ઓક્સીજન આધારિત ઉદ્યોગો બંધ થવાના આરે છે. એમાં પણ ખાસ કરીને વડોદરાના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને અંકલેશ્વર GIDCમાં, કે જ્યાં કેમિકલ અને ફાર્મા કંપનીઓમાં વપરાતા ગ્લાસના સાધનો બનાવતી મોટા ભાગની સાઈન્ટીફિક કંપનીઓ છે, જ્યાં ઓક્સીજન વગર કોઈ પણ સાધન બનાવવું અશક્ય છે, ત્યારે આ સ્થિતિમાં સાઈન્ટીફિક ક્ષેત્રના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બનતા તેઓને બેકાર થવાનો વારો આવ્યો છે અને હવે પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલભર્યું બન્યું છે.
દર્દીઓની સાથે ઉદ્યોગોને ઓક્સીજનનો આંશિક જથ્થો આપવા માલિકોની અપીલ
રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે હુકમ બહાર પાડીને ઓક્સીજનનો જથ્થો હોસ્પિટલમાં આપવાનો નિર્ણય કરાયો છે, ત્યારે આ વિકટ સ્થિતિમાં ઓક્સીજન આધારિત ઉદ્યોગોના સંચાલકોએ હવે સરકાર પાસે વિનંતી કરી છે કે, હોસ્પિટલની સાથે સાથે મહદઅંશે ઓક્સીજનનો જથ્થો ઉદ્યોગોને આપવામાં આવે, જેનાથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે.
એક સપ્તાહમાં ઓક્સીજન નહીં મળે તો ઉદ્યોગો બંધ કરવા પડશે
આ અંગે જયારે સાઈન્ટીફિક કંપનીઓના સંચાલકો સાથે સંપર્ક સાધવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, સાઈન્ટીફિક ક્ષેત્રની તમામ કંપનીઓ ઓક્સીજન પર આધાર રાખે છે, ત્યારે ઓક્સીજન ન મળતા અમારે ઉદ્યોગો બંધ કરવા પડશે. છેલ્લા ચાર – પાંચ દિવસથી અમારા તમામ કર્મચારીઓ કામ વગર બેકાર બેઠા છે અને આવનારા સમયમાં જો આ જ સ્થિતિ રહેશે તો કર્મચારીઓના પગાર આપવા પણ મુશ્કેલ પડી જશે.
આ સાથે તેઓએ અંતે માંગણી કરી છે કે, જો સરકારને સાઈન્ટીફિક ક્ષેત્રની કંપનીઓને બંધ થવાથી અને લોકોને બેકાર થવાથી બચાવવા હશે તો મહદઅંશે પણ ઓક્સીજનનો જથ્થો આપવામાં આવે, જેનાથી અમે થોડા ઘણા પણ ગ્લાસના સાધનો બનાવી પોતાનું ગુજરાન ચલાવી શકાય.