પાકિસ્તાનના કેપ્ટન અને વિકેટકીપર સરફરાઝ અહેમદને દક્ષિણ આફ્રિકાના એન્ડી ફેલુકાવયો વિરુદ્ધ વંશીય ટીપ્પણી કરવી ભારે પડી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સરફરાઝ ને આ ટીપ્પણી માટે ૪ આંતરરાષ્ટ્રીય મેચ માટે સસ્પેન્ડ કરી દીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના સુત્રોએ સરફરાઝ ના સસ્પેન્શન ને સમર્થન આપ્યું હતું. સરફરાઝ પર આ કાર્યવાહી આઈસીસીના એન્ટી રેસિઝમ કોડ (વિરોધી જાતિવાદ કોડ) હેઠળ કરવામાં આવી છે. નોંધનીય વાત છે કે , સરફરાઝ અહેમદે બુધવારે દક્ષિણ આફ્રિકાની સામે ડરબનમાં બીજી વનડે દરમિયાન એન્ડી ફેલુકાવયો સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ વિવાદિત ટિપ્પણી સ્ટમ્પના માઇક્રોફોનથી સાંભળી હતી.
સરફરાઝે ઓલરાઉન્ડર ફેલુકાવયો ની રાસી વાન ડેર દુસાન સાથે વિજયી ભાગીદારી દરમિયાન ઉર્દુ માં આ વિવાદિત ટિપ્પણી કરી હતી. ૩૭મી ઓવર દરમિયાન સરફરાઝે સ્ટમ્પ પાછળથી ફેલુકાવયો ને કહ્યું હતું કે, ‘અબે કાલીએ, તેરી અમ્મી આજ કહાં બૈઠી હૈ? ક્યાં પઢવા કે આયા હૈ આજ ?’
આઈસીસી મેચ રેફરીએ આ બાબતમાં સરફરાઝ અહમદને બોલાવ્યો અને સમજૂતી માંગી. જેના જવાબમાં સરફરાઝે દક્ષિણ આફ્રિકાની ટીમ અને વ્યક્તિગત રીતે ફેલુકાવયોની માફી માંગી હતી અને ટિપ્પણી માટે પોતાને જવાબદાર ગણાવી હતી. 23 જાન્યુઆરીએ, સરફરાઝે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું અને આ ભૂલ માટે તેના ચાહકોને માફી માંગી છે.