Ahmedabad News: અમદાવાદ, વડોદરા અને દાહોદમાં પતિ અને સાસરિયાના ત્રાસથી પરીણિતાએ આત્મહત્યા કરી છે. અમદાવાદમાં પતિના ત્રાસથી પરીણિતાએ કંટાળીને દવા પી જીવન ટૂંકાવ્યું છે. મૃતક પરીણિતા પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. પત્ની પર અવારનવાર શંકા રાખીને ત્રાસ આપતો હોવાનો આરોપ છે. અમદાવાદમાં છેલ્લા અઠવાડિયામાં પતિના ત્રાસથી પત્નીની આત્મહત્યાનો આ બીજો બનાવ છે.
અમદાવાદ ઉપરાંત સંસ્કાર નગરી વડોદરામાં પણ પરીણિતાએ આત્મહત્યા કરી હતી. માંજલપુરમાં રહેતી પરીણિતાએ સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી હતી. શ્રીકુંજ હાઇટ્સ નામની બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.
દાહોદમાં ટાઢાગોળા ગામની પરીણિતાએ આત્મહત્યા કરી છે. પતિ અને સાસરિયાના ત્રાસથી પરીણિતાએ જીવન ટૂંકાવ્યું છે. લગ્નના બે મહિના પછી જ 25 વર્ષીય પરીણિતાએ આત્મહત્યા કરી છે. મૃતકની માતાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરીણિતા પ્રિયંકાના લગ્ન ટાઢાગોળા ગામના ધવલ રાજેશ ડામોર સાથે થયા હતા. લગ્નના બે મહિના પછી પ્રિયંકા બેન દ્વારા તું મને ગમતી નથી અને મારા બીજી પત્ની લાવી છે તેમ કહી ત્રાસ આપતો હતો. તેના પગલે પરીણિતાએ સાતમી નવેમ્બરના રોજ પતિ અને સાસરિયાથી કંટાળી જઈને દોરડા વડે લટકી જઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મૃતકની માતાએ ધવલ ડામોર સહિતના સાસરિયા સામે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આત્મહત્યા કરવા અંગે ત્રાસ આપતા પતિ સહિત સાસરિયાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ચાર જ દિવસ પહેલા નારોલ વિસ્તારમાં શંકાશીલ પતિના ત્રાસથી પત્નીએ ગેલેરીમાંથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના ભાઈએ બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નારોલ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મૃતકના ભાઈ રાહુલે નારોલ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની નાની બહેન છાયાને શાહવાડી ખાતે રહેતા જગદીશ રાઠોડ સાથે પ્રેમસબંધ હોવાથી આજથી એક વર્ષ અગાઉ બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા હતા.
જો કે લગ્નના એક મહિના બાદ તેમની બહેન સારા કપડા પહેરે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે તો તેનો પતિ શંકા કરીને પત્ની સાથે મારઝૂડ કરતો હતો. દિવાળીનો તહેવાર હોવાથી ગત 2 નવેમ્બરના રોજ તેમની બહેન પોતાના પિયર રોકાવા આવી હતી. જો કે ચોથી તારીખે તેનો પતિ જગદીશ સાસરીમાં આવ્યો હતો અને પત્નીને ‘મેં તને અહીંયા આવવાની ના પાડી હોવા છતાં કેમ આવી?’ કહી મારઝૂડ કરીને રિક્ષામાં બેસાડીને લઈ ગયો હતો.
જગદીશ રાઠોડે ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે, ‘સવાર સુધીમાં છૂટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો, નહીંતર આખી રાત તારી બહેનને મારીશ’. જેથી ફરિયાદી રાહુલ વાઘેલા પોતાની પત્ની અને નાની બહેનને લઈને મોટી બહેન છાયાની સાસરીમાં બનેવીને સમજાવવા ગયા હતા. જ્યાં સાસુ-સસરા અને ત્રણેય નણંદો હાજર હોવા છતાં જગદીશ પત્નીને મારવા જતો હતો. જેથી તેમની મોટી બહેને ગેલેરીમાં જઈને પડતું મૂક્યું હતુ. જેથી લોહીલુહાણ હાલતમાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં IPS અધિકારીના પત્નીની આત્મહત્યાથી ચકચાર
આ પણ વાંચો: અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી
આ પણ વાંચો: અમદાવાદમાં એકજ દિવસમાં પાંચ આત્મહત્યાના બનાવ, મહિલાવર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું