વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજધાની દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) નાં પરિસરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાનારા આ અનાવરણ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંક પણ હાજર છે. ડાબેરીઓનાં ગઢ કહેવાતા જેએનયુમાં આ કાર્યક્રમને લઇને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ઘણા વિદ્યાર્થી સંગઠનોએ કેમ્પસમાં વિવેકાનંદની પ્રતિમા સ્થાપિત કરવાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, હું આ મહત્વપૂર્ણ પ્રસંગે જેએનયુ વહીવટ, તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવુ છું. હું ઈચ્છું છું કે જેએનયુમાં સ્વામીજીની આ પ્રતિમા દરેકને ઉર્જાથી ભરપૂર પ્રેરણા આપે. આ પ્રતિમા તે હિંમત આપે જે સ્વામી વિવેકાનંદ દરેક વ્યક્તિમાં જોવા માંગતા હતા. આ પ્રતિમા કરુણાભાવ શીખવે છે, જે સ્વામીજીનાં દર્શનનો મુખ્ય આધાર છે. સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યા પછી વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ભૂતકાળમાં અમે વિશ્વને જે આપ્યું હતું, તે યાદ રાખવુ અને તે બતાવવું અમારા આત્મવિશ્વાસને વધારે છે. આ આત્મવિશ્વાસ સાથે, આપણે ભવિષ્ય પર કામ કરવું પડશે. 21 મી સદીનાં વિશ્વમાં ભારત જે ફાળો આપશે, તે આપણા બધાની જવાબદારી છે. આ અગાઉ વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદનાં સિદ્ધાંતો અને સંદેશાઓ હજી પણ દેશનાં યુવાનોને રસ્તો બતાવે છે અને ભારતને ગર્વ છે કે અહીં જન્મેલા એવા મહાન વ્યક્તિઓ આજે પણ વિશ્વભરનાં કરોડો લોકોને પ્રેરણા આપે છે.
નિવેદનમાં જણાવ્યા અનુસાર, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા કહ્યું છે કે, સ્વામી વિવેકાનંદનાં આદર્શો જે તેમના જીવનકાળ દરમિયાન સુસંગત હતા તે આજે પણ છે. પ્રધાનમંત્રીએ હંમેશાં ભાર મૂક્યો છે કે લોકોની સેવા કરીને અને યુવાનોને સશક્ત કરવાથી દેશ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સશક્ત બને છે અને આનાથી દેશની વૈશ્વિક પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. ભારતની સમૃદ્ધિ અને શક્તિ તેના લોકોમાં રહેલી છે અને બધાને સશક્ત કરવાથી જ દેશ આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે.