@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જાે યોગ્ય સમયે અપાશે તેવી ખાતરી કેન્દ્ર દ્વારા વધુ એકવારઅપાઈ છે. જમ્મુ કાશ્મીરમાં સત્તા પોતાની રહે તે માટે સોગઠા સીમાંકનના માધ્યમથી ગોઠવાતા હોવાનું ખુદ ભાજપના વર્તૂળો સ્વીકારે છે. લદાખમાં પણ વિધાનસભાની રચનાની વાત ચાલે છે. આ બધા દેકારા પડકારા વચ્ચે ઈમરાનખાને તો પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીરમાં ચૂંટણી પણ કરી નાખી અને તેના પરિણામ પણ આવી ગયા અને હવે ઉપખંડના બીજા વડાપ્રધાનોની જેમ લોકોના અને ત્યાંના વિપક્ષોના વિરોધ છતાં ચૂંટણી જીતવામાં માહિર બની ગયેલા ઈમરાનખાને પોતાના પક્ષને ૨૬માંથી ૨૫ બેઠકો અપાવી ચૂંટણી પણ જીતી લીધી. ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ગુરૂવારે ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે આ કાશ્મીર ભારતનું જ છે અને ભારતના કોઈ ભાગમાં પાકિસ્તાન ચૂંટણી યોજી શકે નહિં. જાે કે નિષ્ણાતોના મતે ભારતનો આ વિરોધ ઘણો મોડો છે. ઘણા તો એમ કહે છે કે ‘જબ ચિડીયા ચુગ ગઈ ખેત’ જેવો વિરોધ છે અથવા તો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો વિરોધ છે અથવા અન્ય એક નિષ્ણાંતે નોંધ લીધી છે તે પ્રમાણે માત્ર વિરોધ કરવા ખાતર કરાયેલો વિરોધ છે.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓને દિલ્હી બોલાવી દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર ઘટાડવાની વાત કરી હતી તે જ વખતે ચૂંટણીપ્રચાર ચાલુ હતો. આ બેઠક થઈ તે પહેલાના બાર-બંદર દિવસ પહેલા અને આ અગાઉ એક માસ પહેલા એવા સમાચારો પણ વિવિધ અખબારોમાં ચમક્યા હતાં કે પાકિસ્તાનના ગેરકાયદે કબ્જા હેઠળના તત્કાલિન વડાએ પોતાની ઓફિસમાં ટેબલ પરથી પાકિસ્તાનનો ધ્વજ હટાવી દીધો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને છેલ્લા એક માસમાં પીઓકેની ત્રણથી વધુ વખત મુલાકાત લીધી હતી અને રેલીઓ સંબોધી હતી ત્યારે પોતાની જાતને કાશ્મીરનો બ્રાંડ એમ્બેસેડર પણ જાહેર કર્યો હતો. એટલું જ નહીં પણ ત્યાંથી આગળ વધીને ઝૂલ્ફીકાર અલી ભૂટ્ટોથી શરૂ કરીને પાકિસ્તાનના નવાઝ શરીફ સિવાયના શાસકો કાશ્મીર અંગે જે પૂરાણું ગાણું ગાતા હતાં તે પણ દોહરાવ્યું હતું અને કહ્યું હતું કે સ્વતંત્ર રહેવું અગર તો પાકિસ્તાન સાથે જવું અગર તો ભારતમાં રહેવું તે નક્કી કરવાનો કાશ્મીરના લોકોને અધિકાર છે. આમ કહીને પોતાના જૂના પૂરોગામીઓની કાશ્મીરમાં જનમત કે લોકમતની વાતને ફરી એકવાર વાગોળી હતી.
આ બધા દેકારા પડકારા ચાલુ હતા અને ત્યાંના પૂર્વ શાસકો અને લોકોના અવાજને દબાવી દેવાયો હતો તેવે સમયે ભારતના શાસકો અને વિદેશખાતું કેમ શાંત રહ્યું ? પાકિસ્તાના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીરમાં ચીન પાક કોરીડોર બન્યો છે તેની સામે ત્યાંના મુઝફરપુર સહિતની સ્થાનિક પ્રજા વિરોધ કરતી હતી ત્યારે ભારત સરકાર ચૂપ કેમ રહી ? પાકિસ્તાનના ગેરકાયદે કબ્જા હેઠળના કાશ્મીરની સરહદ પર આવી પાકિસ્તાનના લશ્કરી વડા બાજવા પડકાર ફેંકી જાય ત્યારે ભારત સરકાર કેમ ચૂપ રહી હતી ? પીઓકે ના જે વિસ્તારમાં ભારતીય જવાનોએ પહેલા સર્જિકલ સ્ટ્રાઈક અને પછી એરસ્ટ્રાઈક કરી હતી અને તેનું માર્કેટીંગ કરી ૨૦૧૭માં સત્તાધારી પક્ષે ચૂંટણીઓ પણ જીતી. પરંતુ અત્યારે ફરી પણ ત્યાં આતંકીઓના અડ્ડા શરૂ થઈ ગયા છે છતાં ત્યાં કેમ યોગ્ય પગલાં લેવાતા નથી તેવું નિષ્ણાતો પૂછે છે.
પાકિસ્તાની શાસકોએ પીઓકેમાં ચૂંટણી કાંઈ ચૂપચાપ યોજી નથી, કાર્યક્રમો પણ જાહેર કર્યો છે અને ખુદ ઈસ્લામાબાદથી બે થી ત્રણ ધક્કા ખાઈ ઈમરાને પણ રેલી સંબોધી છે તે વખતે ભારતના સત્તાવાળાઓ મૌન કેમ રહ્યાં ?
મનમોહનસિંહની સરકાર વખતે પણ પીઓકે તે ભારતનો ભાગ છે તેવું ગાણું ગવાયું હતું. ૨૦૧૪માં આવેલી મોદી સરકારે પણ આ ગાણું ચાલું રાખ્યું. તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ૨૦૧૪ અને ૨૦૧૫માં મંત્રણાઓ પણ થઈ તેમ છતાં તે વખતે પીઓકેનો કબ્જાે ખાલી કરવા કેમ ન કહેવાયું ? ૨૦૧૯ની પાંચમી ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ કાશ્મીર માટેની ૩૭૦મી કલમ રદ કરવાનું પગલું ભર્યું તે વખતે પાકિસ્તાની શાસકોએ કરેલા વિરોધનો યોગ્ય જવાબ કેમ ન અપાયો ? આ પ્રશ્ન નિષ્ણાતોને પણ મૂંઝવે છે. ૩૭૦મી કલમની નાબૂદી અંગે સંસદમાં થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહેલું ક હું કાશ્મીરની વાત કરું છું ત્યારે તેમાં જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના ગેરકાયદે કબ્જા હેઠળનું કાશ્મીર આવી જાય છે. જાે આ વાત માત્ર કહેવા ખાતર ન કહેવાઈ હોય તો પછી ૨૦૧૯ ઓગસ્ટ બાદ ૧ વર્ષ ૧૧ માસનો ગાળો વીતવા આવ્યો છતાં પગલાં કેમ ભરવામાં આવ્યા નથી ? આવો પ્રશ્ન કદાચ મતબેન્ક તૃષ્ટિકરણમાં માનતા ભારતના વિપક્ષો તો નહી જ પૂછે પણ પોતાને સંપૂર્ણ રાષ્ટ્રવાદી કહેવડાવતા પક્ષને સંરક્ષણ અને વિદેશી બાબતોને લગતા નિષ્ણાતોએ તો ચોક્કસ પૂછ્યો છે.
હવે પીઓકે પાકિસ્તાનને ખાલી કરી આપવો જાેઈએ તેવું વિદેશ મંત્રાલયનું નિવેદન આવકાર્ય છે. આ વાત ૧૩૮ કરોડ ભારતવાસીઓને પણ ગમી છે પણ આ દિશામાં પગલાં ક્યારે ?૨૦૧૪થી ૨૦૧૮ સુધી જમ્મુ-કાશ્મીરમાં ભાજપની ભાગીદારીવાળી મહેબુબા મુફ્તીની જ સરકાર હતી તે વખતે પણ આ લોકોએ મૌન કેમ સેવ્યું ? આનો કઈ જવાબ છે ખરો ?
ઈમરાનખાનના પીઓકેના ચૂંટણી દાવ સામે ત્યાંની સ્થાનિક પ્રજા પણ નારાજ છે તેવા અહેવાલો બહાર આવ્યા છે અને પીઓકેમાં મોટાભાગના લોકો ચીન પાક કોરીડોર અંગે તો જાહેરમાં આવી વિરોધ કરી ચૂક્યા છે. તે સમયે હવે ભારતના વિદેશ મંત્રાલયે વિરોધ કર્યો તે સારી વાત છે પણ પાકિસ્તાની શાસકો એ એવી બલા છે કે જે લાતો કે ભૂત કભી બાતો સે નહિ માનતે. માત્ર વાત કરવાથી કોઈ પાકિસ્તાની શાસકો પીઓકે ભારતને સોંપી દે તે વાતમાં માલ નથી. અત્યારે જ્યારે પીઓકેમાં ઈમરાનના ચૂંટણી દાવ સામે વિરોધ છે ત્યારે ભારતે માત્ર વાતો કરવાની કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી ટાણે ત્યાં કાર્યવાહી કરશું તેવી રાહ જાેવાની પણ જરૂર નથી તેવું નિષ્ણાતો કહે છે. પીઓકે હસ્તગત કરવા માટેનો નિર્ણાયક સમય હવે આવી ગયો છે. આ બાબતને હવે ચૂંટણીમાં એક યા બીજા પક્ષના લાભાલાભની દ્રષ્ટિએ નહિ પરંતુ રાષ્ટ્રની એકતા અને સુરક્ષાની દૃષ્ટિએ નિહાળવાની જરૂરત છે.