પેટાચૂંટણીમાં તેમજ કોરોનાને નાથવાના જંગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા જાે બીજા કોઈ અવરોદો ઉભા કરાય તો તેનો પણ સામનો કરવાનો છે
મમતા બેનરજી વિધાનસભાની પેટાચૂંટણી છ માસમાં લડી ન શકે તેવી વ્યવસ્થા કરવા આ ખેલ પાડવામાં આવ્યો છે તેવું રાજકીય વિશ્લેષકો કહે છે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ ત્રીજીવાર પોતાના સહિત ૪૪ સભ્યોવાળી સરકાર રચી. જાે કે હેટ્રીક એ બંગાળ માટે નવી વાત નથી. ભૂતકાળમાં કોંગ્રેસ પણ આ પરાક્રમ કરી ચૂકી છે. ડાબેરીઓ તો સતત સાત વખત જીત્યા છે. મમતા બેનરજીનો આ વિજય એટલા માટે વધુ મહત્ત્વનો છે કે રાજ્યના કોઈ મુખ્યમંત્રી હરાવવા માટે કે તેમની સરકારને વિદાય આપવા માટે આટલી મોટી ફૌજ ક્યારેય કામે લાગતી નથી. ૨૦૧૬ની ચૂંટણીમાં ૩ બેઠક મેળવનાર કેન્દ્રના સત્તાધારી પક્ષ ભાજપ માટે આ સારી સ્થિતિ તો નહોતી જ. પરંતુ ત્યારબાદ ભાજપના સરકારમાં બેઠેલા નેતાઓએ જે આંટાફેરા શરૂ કર્યા તેના કારણે બંગાળને વધુ મહત્ત્વ આપવાનો તખ્તો ઘડાયાનો ખ્યાલ આવ્યો. અધુરામાં પુરૂ હતું તેમ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૯ બેઠકો મળી અને વિધાસભાની ૧૨૧ બેઠકો પર સરસાઈ મળી આ જેવી વાત તો નહોતી જ. એટલે બંગાળ સર કરવાની પટકથા તો ભાજપે ૨૦૧૯ના મે માસમાં લખી નાખી હતી. ચૂંટણીના છ માસ પહેલા થયેલી હિંસાખોરી ભલેએક હાથે તાળી ના પડે તેવા પ્રકારની હતી. પરંતુ તેનો ભરપૂર પ્રચાર કર્યો. પરંતુ ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ તે બાબત રાજકીય રીતે નિર્ણાયક બની. બંગાળમાં મમતા દીદીએ સત્તા જાળવી પરંતુ ૨૧૩ જેટલી વિક્રમસર્જક બેઠકો મેળવી. જાે કે પોતે નજીવી સરસાઈથી નંદીગ્રામની બેઠક પર હાર્યા. જાે કે પક્ષને બહુમતી અપાવી હારનારા મુખ્યમંત્રીઓમાં મમતા બેનરજીનું પાંચમું સ્થાન છે.
ચૂંટણી પરિણામો જાહેર થયા તે જ દિવસથી હિંસાખોરી શરૂ થઈ. ટી.એમ.સી. અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ અને ભાજપના કાર્યાલયોને આગ ચાંપવાના બનાવો બન્યા. પરિણામ પછીના આઠ દિવસો સુધી આ હિંસાખોરી ચાલુ રહી. હિંસાખોરી ક્યારેય સ્વીકાર્ય નથી હવે ચૂંટણી પરિણામમાં ભાજપે કશું ગુમાવ્યું નથી. ૨૦૧૬ની ત્રણ બેઠકોમાંથી ૭૭ બેઠકો મળી છે. એટલે કે ૨૫ગણી બેઠકો પ્રાપ્ત કરી છે. પરંતુ વિશ્લેષકો કહે છે તે પ્રમાણે કોરોનાના સુપરસ્પ્રેન્ડર બનાવતી મોટી મોટી રેલીઓ કરી રોડ શો કર્યા અને ટીએમસી સહિતના પક્ષોમાંથી ઉટાવેલા ઉમેદવારો ભાજપને ૨૦૦ પ્લસની વાત તો બાજુએ રહી પરંતુ સત્તા સુધી પણ પહોંચાડી શક્યા નથી. તાકાત વધી હોવાનો આત્મસંતોષ અવશ્ય લેવાયો છે પણ સત્તા ન મળી તેનો રંજ ભાજપના શીર્ષસ્થ નેતાઓ કે તેના કાર્યકરો કે સમર્થકોના મગજમાંથી હજી ગયો નથી. આ હિંસા બે પક્ષના કાર્યકરો વચ્ચેની હિંસા છે અને અગાઉ કહી ગયા તેમ એક હાથે તાળી ન પડે તેવી હિંસા છે. છતાં પણ તેને કેન્દ્રના સત્તાધારી પક્ષના કેટલાક સમર્થકો સત્તાધારી પક્ષના કેટલાક સમર્થકો અને ભાજપને બંગાળમાં સત્તા ન મળી તેનું દુઃખ વ્યક્ત કરતાં તત્વો દ્વારા બે સમાજ વચ્ચેની હિંસાખોરીમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. એક રાજ્યમાં ચૂંટણી દરમિયાન થયેલી હિંસાખોરીને જુદો જ રંગ આપી દેશભરમાં ધરણા કરવામાં આવ્યા. કોરોનાની ગાઈડલાઈન હોવા છતાં આ કાર્યક્રમમાં કોરોનાના વધુ કહેરવાળા રાજ્યોમાં પણ થયા. આ ઘણા લાંબા સમય બાદ જાેવા મળેલો બનાવ હતો.
મુખ્યમંત્રી તરીકે બેનરજીએ શપથ લીધા તે સમારોહમાં રાજ્યપાલ ધનખડે તેમને બંગાળમાં બનેલા હિંસાખોરીના બનાવો અંગે ટપાર્યા. મમતા બેનરજીએ પોતાની ભાષામાં તેનો જવાબ શપથવિધિ સમારોહ પૂર્ણ થયા બાદ તરત જ આપ્યો. આ પણ પ્રથમ બનાવ હતો જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે આવી કોઈ બાબત અંગે સામસામા નિવેદનો થયા હોય. બે દિવસની હિંસાખોરી બાદ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે હિંસાના બનાવો અંગે રિપોર્ટ મગાવ્યો. નવી સરકારે ચાર્જ લીધો પણ ન હોય ત્યાં આ રીતે નવી સરકારના મુખ્ય સચિવ પાસે જવાબ મગાવવાનો બનાવ પણ પ્રથમ જ છે. આ અધુરૂ હોય તેમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડી કે જે પશ્ચિમ બંગાળની ચૂંટણીના મુખ્ય સ્ટાર પ્રચારકો પૈકીના એક હતા તેમણે મુલાકાત લીધી. ત્રીજી વાત એ કે કેન્દ્રના ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકારના શપથવિધિના બીજા દિવસે ચાર સભ્યોની ટીમ પણ મોકલી. આ પણ પ્રથમ બનાવ કહેવાય.
કોરોનાના કહેર વચ્ચે પણ ગુજરાતમાં આઠ બેઠકોની પેટાચૂંટણી અને સ્થાનિક ચૂંટણીઓ તેમજ કર્ણાટક, પંજાબ સહિતના સ્થળોએ સ્થાનિક ચૂંટણી અને બંગાળ સહિતના પાંચ રાજ્યો વિધાનસભા અને ૯ રાજ્યોમાં લોકસભા અને ધારાસભ્યોની પેટાચૂંટણી યોજનાર ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળની ૩ બેઠકો સહિત જે ૧૦ બેઠકોની પેટાચૂંટણી યોજાવાની હતી તે ચૂંટણીપંચે હમણા ન કરવી તેવો નિર્ણય લીધો. હકિકતમાં આવો નિર્ણય ૨૦૨૦માં યોજાયેલી ચૂંટણીઓ પેટાચૂંટણીઓ સમયે લેવાની જરૂર હતી અને આ સમય સંભવીત બીજી લહેરની તૈયારીમાં પસાર કર્યો હોત તો ચૂંટણીગ્રસ્ત સહિત તમામ રાજ્યો કોરોનાની બીજી લહેરની આક્રમકતાથી થોડા ઘણા પણ બચી શક્યા હોત. બંગાળની ત્રણ બેઠકોની પેટાચૂંટણી ક્યારે યોજાશે તે નક્કી નથી પરંતુ મમતા બેનરજી વિધાનસભાની પેટાચૂંટણી છ માસમાં લડી ન શકે તેવી વ્યવસ્થા કરવા આ ખેલ પાડવામાં આવ્યો છે તેવું રાજકીય વિશ્લેષકો કહે છે.
ભાજપના મુખ્યમંત્રી પદના ઘણા દાવેદાર હતા. જાે કે મુકુલ રોય સિવાયના કોઈ ધારાસભામાં ચૂંટાયા પણ નથી ત્યારે નંદીગ્રામની બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજીને હરાવનાર તેમના જ જુના સાથીદાર અને હવે ભાજપનો ખેસ પહેરનાર શુવેન્દુ અધિકારીને વિરોધ પક્ષના નેતા બનાવાયા છે. માત્ર ગણતરીના દિવસોમાં પક્ષપલ્ટુઓને શીરપાવ આપવાની જે પરંપરા ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ, મણિપુર, ગોવા સહિતના રાજ્યોમાં જળવાઈ છે તે પરંપરા ભાજપે પશ્ચિમ બંગાળમાં પણ જાળવી છે.
જાે કે છ માસમાં પેટાચૂંટણી ન યોજાય તો પણ મમતા બેનરજી છ માસ બાદ રાજીનામુ આપી બીજીવાર મુખ્યમંત્રી બની શકે તેવી જાેગવાઈ તો બંધારણમાં છે જ. ટૂંકમાં મમતા બેનરજીને ત્રીજીવાર સત્તા પર આવ્યા બાદ કેન્દ્રના શાસક પક્ષે તેમની સામે પડકારો તો ઉભા કર્યા જ છે. તેઓ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગૂંચવાયેલા રહે અને કેન્દ્રમાં આવે જ નહિ તેવો વ્યૂહ ઘડવામાં આવ્યો હોય તેવું લાગે છે.