કિશન ભરવાડ કેસમાં પોલીસ સક્રીય ભૂમિકા ભજવી રહી છે અને આ કેસમાં જોડાયેલા તમામ તથ્યો બહાર લાવવા માટે તત્પર છે, હાલમાં પોલીસે આ કેસમાં આરોપીઓએ કેવી રીતે અંજામ આપ્યો છે તે થીયરી પર કામ કરી રહી છે.ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત ATSના અધિકારીઓએ ફાયરીંગ કરનાર શબ્બીર ચોપડા અને બાઈક રાઈડર ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ATSના અધિકારીઓએ ધંઘૂકા મોઢવાળા દરવાજા પાસે થયેલા ફાયરીંગની ઘટનાનું પુનરાવર્તન કર્યું હતું. ત્યાર બાદ ATSના અધિકારીઓ દ્વારા ધંધૂકામાં સ્થિત સર મુબારક દરગાહ પાસે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. કારણ કે આરોપીએ હથિયાર અને બાઈક દરગાહ પાસે છુપાવ્યા હતાં. ATSના અધિકારીઓએ આ તમામ ઘટનાની વિડીયોગ્રાફી કરી નિવેદનો પણ નોંધ્યા છે.
ગુજરાત ATSના ડીવાયએસપી બી એચ ચાવડા અને તેમની ટિમ દ્વારા ફાયરીંગ કરનાર મુખ્ય બે આરોપીઓ શબ્બીર ચોપડા અને બાઈક રાઈડર ઈમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ધંધૂકામાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. જેમાં તેમણે હથિયારનો નિકાલ અને હત્યામાં વપરાયેલું બાઇક મુકયાના સ્થળ અંગે તપાસ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમે પકડાયેલા ત્રણ આરોપીઓને ગુરૂવારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યા આ ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.