અમદાવાદ: ગુજરાતની જસદણ પેટા ચૂંટણીને લઇને રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ પેટા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ છોડીને ભાજપ સરકારની કેબિનેટમાં મંત્રીપદ મેળવનાર કુંવરજી બાવળિયાએ ગત સપ્તાહમાં પોતાની ઉમેવારી નોંધાવી હતી. આ પછી આજે સોમવારે કોંગ્રેસના અવસર નાકિયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરવા જતાં સમયે અવસર નાકિયા અને કોંગ્રેસે કરેલા શક્તિ પ્રદર્શનને લઈને ભાજપના મોવડીઓ અચંબિત થઈ ગયા હતા.
વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ તાજેતરમાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રીનું પદ મેળવ્યું હતું. કુંવરજી બાવળિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ જસદણની ખાલી પડેલી બેઠક ઉપર આગામી તા.20 ડિસેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. જેના અંતર્ગત ગત સપ્તાહમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
આ પછી રવિવારે મોડી સાંજે કોંગ્રેસ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે અવસર નાકિયા નામની જાહેર કરવામાં આવી હતી. જેના અંતર્ગત આજે સોમવારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ પોતાના ગામ આસલપુર ગામમાં આવેલા રામજી મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
રામજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ જસદણમાં યોજવામાં આવેલ સભાસ્થળે પહોંચીને સભાને સંબોધિત કરી હતી. આ સભા બાદ કોંગ્રેસનું શક્તિપ્રદર્શન જોવા મળ્યું હતું. કોંગ્રેસ દ્વારા ભવ્ય અને એક કિલોમીટર લાંબી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સહિતના લોકો ઉમટી પડ્યા હતા. આ રેલી જસદણના મુખ્ય માર્ગો પર ફરીને મામલદાર કચેરીએ પહોંચી હતી.
મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
જસદણ પેટા ચૂંટણી પૂર્વે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન જોઇ અંદરખાને ભાજપને પરસેવો વળી ગયો છેઉમેદવારી પત્ર ભરતા અગાઉ યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્યો લલીત વસોયા, લલીત કગથરા, બ્રીજેશ મેરજા, જે. વી. કાકડિયા, પરેશ દૂધાત, પુંજાભાઈ વંશ, વિરજી ઠુંમર, ઋત્વીક મકવાણા, ભોળાભાઇ ગોહીલ, મહમદ જાવિદ પીરજાદા, અર્જુન ખાટરિયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા સહિત સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
અવસર નાકિયાની ઉમેદવારી સમયે કોંગ્રેસ દ્વારા કરાયેલા શક્તિ પ્રદર્શનને જોઈને ભાજપના મોવડીઓને પરસેવો છૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લઈને ચર્ચાઓ વહેતી થઈ હતી કે, ગુરૂ કરતા શિષ્યની રેલીમાં વધુ સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી.