અમદાવાદ: દેશભરમાં યોજાયેલા ખેડૂત આંદોલન મુદ્દે કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહે કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે તેમની સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
દેશમાં 1થી 10 જૂન સુધી થયેલા ખેડૂત આંદોલન મુદ્દે કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહે નિવેદન કર્યું હતું કે, ખેડૂતોનું આ આંદોલન અખબારોમાં ચમકવા માટે ‘પબ્લિસિટી સ્ટંટ છે’. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહે કરેલા નિવેદન મુદ્દે ઓબીસી, એસસી, એસટી એકતા મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ દ્વારા અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મુકેશ ભરવાડે આક્ષેપ કર્યા હતા કે, કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહે ખેડૂત આંદોલન સંદર્ભમાં એવું નિવેદન આપ્યું હતું કે ‘મીડિયા મેં આને કે લિયે કુછ અનોખા કરના પડતા હૈ,યે સબ પબ્લિસિટી સ્ટંટ છે.” જેને કારણે ઓબીસી, એસસી, એસટી એકતા મંચ ગુજરાતના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ દ્વારા સોમવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહ સામે કેસ દાખલ કર્યો હતો.
આ કેસ મુદ્દે કોર્ટ દ્વારા મુકેશ ભરવાડનું વેરિફિકેશન લેવામાં આવ્યું હતું. હાલમાં આ મામલે ક્રિમિનલ ઇન્ક્વાયરી કેસની વધુ સુનાવણી આગામી તા. 19 જૂનના રોજ કરવામાં આવશે. આ મામલે ઇપીકો કલમ 153 (એ), 153 (બી), 499, 504, 505 મુજબ ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.