હૈદરાબાદ: તેલંગાણામાં આગામી તા. 7 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે જેને લઈને હાલમાં રાજકીય નિવેદનબાજી પોતાની ચરણસીમા પર પહોંચી ગઈ છે. એક તરફ ઓલ ઇન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઔવેસી કોંગ્રેસ અને BJP ઉપર સતત પ્રહાર કરી રહ્યો છે. જયારે ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જો BJP સત્તામાં આવી તો ઔવેસીએ નિઝામની જેમ હૈદરાબાદ છોડીને ભાગવું પડશે.
રાજધાની હૈદરાબાદમાં એક જનસભાને સંબોધિત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને બીજેપીના ફાયરબ્રાંડ નેતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જો બીજેપી સત્તામાં આવશે તો હું તમને ભરોસો આપું છું કે ઔવેસીને તેલંગાણા છોડીને એવી રીતે ભાગવું પડશે કે જેવી રીતે નિઝામ હૈદરાબાદ છોડીને ભાગ્યા હતા.
યોગીએ આ નિવેદન બીજેપીના ધારાસભ્ય રાજા સિંહ દ્વારા કેટલાક દિવસ અગાઉ આપવામાં આવેલા નિવેદન પછી સામે આવ્યું છે. જેમાં તેમણે (રાજા સિંહે) જણાવ્યું હતું કે, તે ઔવેસીનું માથું ધડથી અલગ કર્યા બાદ જ તેઓ સંતુષ્ટ થશે. આ અગાઉ સૈદાબાદમાં એક સભાને સંબોધતા ઔવેસીએ કહ્યું હતું કે, મદરેસાઓ અને મુસ્લિમોના ધાર્મિક સ્થળોને બંધ કરવાનો પ્રયાસ થઈ રાયો છે અને તેઓ (સરકાર) આપણને (મુસ્લિમ સમુદાયને) જોવા નથી માંગતા.
ઔવેસીએ કહ્યું હતું કે, AIMIM ને હરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર આવી રહ્યા છે, જયારે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાંચ વખત આવી ચૂક્યા છે. તેઓ (સરકાર) આપણી (મુસ્લિમ સમુદાયની) અવાજને એવી રીતે ખતમ કરવા માંગે છે કે જેવી રીતે તેઓએ યુપી અને બંગાળમાં કરી છે.
આ દરમિયાનમાં નારાયણપેટમાં એક જાહેર સભાને સંબોધિત કરતા કરતા બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, આ વખતે તેલંગાણાની લડાઈ ત્રિકોણીય છે. એક તરફ ટીઆરએસ અને કે. ચંદ્રશેખર રાવ છે, તેઓ તેલંગાણામાં AIMIM ની સામે ઘુટણીયે પડી ગયા, તો બીજી તરફ કોંગ્રેસ છે, જેણે સિદ્ધુને પાકિસ્તાની સેનાના પ્રમુખને ગળે મળવા માટે મોકલ્યા અને ત્રીજી તરફ રાષ્ટ્રવાદી છે જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.