પોષ પૂર્ણિમા : આજે પોષી પૂનમના દિવસે માતા અંબાજીનું પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. મા જગંદબાનો પ્રાગટ્ય દિવસ એટલે પોષી પૂનમ. જગત જનની માં અંબાજીનો જન્મ દિવસ પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. વર્ષમાં આવતી તમામ પૂર્ણિમા કરતા પોષ મહિનામાં આવતા આ દિવસની માઈ ભક્તો દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું ખાસ મહત્વ છે. આ દિવસે ઉપવાસ, પૂજા અને મંત્રોના પાઠ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આજના દિવસે ગુજરાતમાં માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા માં આવેલા મોટા અંબાજીમાં પોષી પૂર્ણિમાના દિવસે મોટો ઉત્સવ મનાવવામાં આવે છે.
પ્રાચીન માન્યતા
હિંદુ ધર્મમાં વ્રત અન ઉપવાસનું ખાસ મહત્વ હોય છે. ધાર્મિક દંતકથા મુજબ પોષી પૂનમનો અવસર ભાઈ બહેનના સંબંધોને વધુ ગાઢ બનાવે છે. આ દિવસે બહેન ઉપવાસ કરી ભાઈના દિર્ધાયુ થવાની કામના કરતા વ્રત રાખે છે. અને સાંજે ચંદ્રમાની પૂજા બાદ ભાઈનું મુખ જોઈ વ્રત પૂર્ણ કરે છે.
પોષી પૂનમ
આજે ગુરવાર 25 જાન્યુઆરીના દિવસે મા જંગદબાના પ્રાગટ્ય દિવસે મોટા અંબાજીમાં મહાશક્તિ યજ્ઞ અને અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞમાં 51થી વધુ યજમાનોએ નામ નોંધાવ્યા છે. આજના દિવસે શોભાયાત્રા સાથે ગબ્બર ટોચ પરથી જ્યોત અંબાજી મંદિરમાં લવાશે. આ વર્ષે હિંદુ કેલેન્ડર અનુસાર, પૌષ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 24 જાન્યુઆરી એટલે કે બુધવારની રાત્રે જ શરૂ થશે. 24 જાન્યુઆરીએ રાત્રે 9.49 કલાકે પોષ પૂર્ણિમાનો પ્રારંભ થશે. જે બીજા દિવસે 25 જાન્યુઆરીએ રાત્રે 11.23 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આ વર્ષે 25 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા ઉજવવામાં આવશે. માતાજીના પ્રાગટ્ય દિવસે રાજ્યમાં મોટા અંબાજી અને નાના અંબાજી એવા ખેડબ્રહ્મામાં યજ્ઞ અને હવન જેવા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે.
અંબાજી મંદિરમાં ઉજવણી
અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ પ્રચલિત યાત્રાધામ ગણાય છે. દર મહિનાની પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાજીના દર્શન કરવા આવે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે મંદિરમાં મા અંબાની મૂર્તિ નથી. પરંતુ ગોખમાં બેઠેલ મૂર્તિને અંલકારોથી સુશોભિત કરી એવું સ્વરૂપ અપાયુ છે કે સાક્ષાત્ માતાજી બિરાજમાન થયા હોય. સપ્તાહના દરેક દિવસે માતાજી હાથી, કૂકડો, સિંહ એમ જુદી-જુદી સવારી પર અસવાર થયેલા જોવા મળે છે. અંબાજીથી થોડે દૂર આવેલ ગબ્બરના પહાડ પર આવેલ ગુફામાં અંબામાતાનું આદિસ્થાન છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ મુજબ પોષી પૂનમના દિવસે જ માના હૃદયનો ભાગ ગબ્બર પર પડ્યો હતો. એટલે ત્યારથી આ દિવસને માતા જગત જનની મા જંગદબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે.
વિશેષ આયોજન
અંબાજી મંદિરમાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ સાથે નિઃશુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના ચાચર ચોકમાં અંબાજીની શાળાઓના બાળકો દ્વારા વિશેષ પ્રસ્તુતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માઈ ભક્તો youtube ચેનલ મારફતે અંબાજી મંદિરમાં થતા તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે. માં અંબાના પ્રાગટ્ય દિવસની અંબાજી ઉપરાંત રાજ્યના તમામ માતાજીના મંદિરોને શણગારવામાં આવશે. ભક્તો મંદિરમાં માતાજીના દર્શન કરી હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે આ દિવસની ધામધૂમથી ઉજવણી કરશે.