Top Stories/ 3 લોકસભા બેઠક, 30 વિધાનસભા બેઠક પર 30 ઓક્ટોબરના રોજ થશે પેટાચૂંટણી, 2 નવેમ્બરના રોજ થશે મતગણતરી

દેશમાં 3 લોકસભા બેઠક અને 30 વિધાનસભા બેઠક પર 30 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાશે અને 2 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

Top Stories

દેશમાં 3 લોકસભા બેઠક અને 30 વિધાનસભા બેઠક પર 30 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 2 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ આ સૌથી મોટી ચૂંટણી કવાયત હાથ ધરવામાં આવશે. આ પહેલા 30 સપ્ટેમ્બરના રોજ કોલકત્તાની ભવાનીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવા માટે જઈ રહી છે. આ ચૂંટણી મમતા બેનરજી માટે અતિમહત્વની છે કારણકે તેઓ પોતે જ ચૂંટણીના મેદાનમાં છે.

બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓ નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે તેઓ હારી ગયા હતા. મુખ્યમંત્રી પદ પર રહેવા માટે તેમણે છ માસની અંદર વિધાનસભાના સભ્ય બની રહેવું જરૂરી છે.

ચૂંટણી પંચે વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા દીવમાં ચૂંટણી સાથે છે. સાથે જ મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં એક એક બેઠક પર ચૂંટણી થવાની છે.  બાકી રહી ગયેલા અલગ અલગ રાજ્યોની 30 બેઠક પર પેટા ચૂંટણી કરાવવામાં આવશે. આંધ્રપ્રદેશની બડવેલ, આસામની ગોસાઈગાંવ, ભવાનીપુર, તામુલપુર, મરિયાની, થોવ્ર વિધાનસભા બેઠક પર ચૂંટણી થશે. બિહારની કુશેશ્શ્વર  અને તારાપુર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. હરિયાણાની એલાનાબાદ બેઠક પર ચૂંટણી યોજાશે.

હિમાચલ પ્રદેશની ફતેહપુર અને આર્કી, જુબ્બાઈ કોટખાઈ બેઠક પર ચૂંટણી યોજાશે. કર્ણાટકની સિડંગી અને હાંગલ બેઠક પર 30 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. મધ્યપ્રદેશના પૃથ્વીપુર, રાયગાંવ, જોબાટ બેઠક પર ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રમાં એક બેઠક પર અને મેઘાલયની ત્રણ બેઠક પર ચૂંટણી યોજાશે. રાજસ્થાનની વલ્લભગઢ, ધારિયાવાડ બેઠક પર મતદાન યોજાશે. બંગાળની દિનહાટા, સાંતીપુર, ખરદાહા અને ગોસાબા બેઠક પર પેટાચૂંટણી થશે. આ વિવિધ બેઠકો માટે એક ઓક્ટોબરના રોજ અધિસૂચના જાહેર કરવામાં આવશે. ઉમેદવારીની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર હશે.

કોરોનાની ભીતિના કારણે ચૂંટણીપંચ ઘણા સમયથી આ બેઠકો પર ચૂંટણી ટાળતી હતી પરંતુ હવે દેશમાં જયારે 20 હજારથી પણ ઓછા કેસ રહી ગયા છે ત્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

પશ્ચિમ બંગાળની ભવાનીપુર પેટાચૂંટણી બાબતે ભાજપનું પ્રતિનિધિમંડળ આજે ચૂંટણી આયોગ સાથે મુલાકાત કરવાનું છે. આ પ્રતિનિધિમંડળમાં ભુપેન્દ્ર યાદવ, મુખ્તાર અબ્બાસ નકવી અને અનુરાગ ઠાકુર સામેલ છે. ભાજપનું દળ ચૂંટણી આયોગ સામે પોતાની કઈ ફરિયાદ અથવા માંગણી રાખવાનું છે જે ચિત્ર હજી સુધી સ્પષ્ટ થયું નથી. આ બેઠક પર 30 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જોકે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપના ઉમેદવાર દિલીપ ઘોષ સાથે ધક્કામુક્કી થઇ હતી.