કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની કુંડલી બોર્ડર પર છેલ્લા 105 દિવસોથી ખેડૂતો અડિંગો જમાવીને બેઠા છે. અહીં મોટાભાગે પંજાબ-હરિયાણાના ખેડૂતો છે. કડકડતી ઠંડીને સહન કર્યા પછી હવે દિલ્હીમાં આકરી ગરમી પડવાની શરુઆત થઇ ગઇ છે. એપ્રિલ-મેમાં પરિસ્થિતિ વધારે ખરાબ થવાની છે ત્યારે હવે આંદોલનકારીઓને પણ ગરમી સતાવવા લાગી છે. આને ધ્યાનમાં લેતાં તેઓએ પ્રદર્શન સ્થળે જાણે કે ઘર વસાવવાનું હોય તેમ બાંધકામ કરવાનું શરુ કરી દીધું છે.
પ્લાસ્ટિક અને કપડાથી બનેલા તંબુમાં સ્વાભાવિક રીતે જ ગરમી વધારે લાગતી હોય છે એટલે ઇંટોથી નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. બાંધકામ માટે પંજાબથી ટ્રેકટર-ટ્રોલિયોમાં ઇંટો ભરીને લાવવામાં આવી રહી છે. એસી ટ્રોલી અને એસી તંબુ સિવાય પાક્કા બાંધકામ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ બધુ ઠંડક માટે કરવામા આવી રહ્યું છે.
ચારે બાજુ દિવાલ અને ઉપર પરાલીની છત હોવાથી ગરમી ઓછી લાગે છે. તેમજ આવા ઘરોમાં કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પંજાબ ખેડૂત નેતા મનજીત રાયે કહ્યું કે જે કિસાન મોરચાના સેવાદાર છે તેમણે જાહેરાત કરી છે કે પાક્કા મકાન બનાવો, એસી અને કુલર અમે બનાવીશું. તેમની જથ્થેબંધી મકાન નિર્માણ કરાવી રહી છે. તેમણે સરકારને ચેતવણી આપી કે હિંમત હોય તો રોકીને બતાવો. આ કાયદાથી જેટલું નુકસાન અમને થશે તેની ભરપાઇ અહીંથી જ કરવામાં આવશે.
