આગામી એક મહિના સુધી સમગ્ર અમદાવાદ શહેર પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં ન્હાશે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આધ્યાત્મિક વારસદાર પૂજય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની હાજરીમાં આ મહોત્સવનો પ્રારંભ કરાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીપ પ્રાગટ્ય સાથે સમગ્ર મહોત્સવનો પ્રારંભ થશે. ગુજરાતનું સમગ્ર પ્રતિનિધિમંડળ પણ આ સમારંભમાં હાજર રહે તેવી સંભાવના સેવાય છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશવિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પરથી સીધા એરપોર્ટ ઓગણજ ખાતે મહોત્સવ સ્થળે જશે.
આ ઉપરાંત બીએપીએસના ભક્તો પણ મોટી સંખ્યામાં હાજરી આપવાના છે. તેથી સભા માટે પ્રવેશ મેળવી લેવા હરિભક્તોને વિશેષ સૂચના પણ આપવામાં આવી છે કે તેઓએ સાંજે ચાર વાગ્યા પહેલા જ સ્થાન ગ્રહણ કરી લેવુ. વડાપ્રધાન આવવાના હોઈ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે.
આ ઉપરાંત બીએપીએસ સંપ્રદાય તેની શિસ્ત માટે પ્રખ્યાત તો છે જ. સભામાં પ્રવેશ કરનારા હરિભક્તોને પ્રવેશ સ્થળે જ ફૂડ પેકેટ પણ આપી દેવાશે. તેની સાથે સભાનું સમાપન રાત્રે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે થશે.
બીએપીએસ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવના ઉદઘાટન સમારંભમાં યુવાનો અને બાળકોની સાથે સંતવૃંદ દ્વારા ભગવાન સ્વામિનારાયણ તેમજ પ્રમુખસ્વામી મહારાજના જીવન કાર્ય અંગે વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમ મુજબ એક મહિના સુધી મહોત્સવનું સ્થળ પ્રમુખસ્વામી મહારાજનગર અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવનકાર્ય અને સંદેશને ધ્યાનમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ સિવાય મધ્યાહને જુદા-જુદા મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.