રસીકરણ માટે દેશમાં યુદ્ધ જેવો માહોલ છે. ત્યારે અફવોની રાજનીતિ પણ ચરમ સીમાએ છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે રસી મામલે અફવાને કોઇ અવકાશ નથી જ…
દેશમાં જયારે કોઈ સમસ્યા ચરમસીમા પર હોય છે, અને દેશ તકલીફમાં હોય છે ત્યારે અફવાઓનું બઝાર પણ પેરેલલ હોટ થઈ જાય છે. અને સાથે સાથે રાજનીતિનો પણ એક નવો દૌર શરુ થાય છે. જ્યાં અસલ મુદ્દા ખોવાય છે, અને લોકોનું કન્ફ્યુઝન વધે છે. જી, હા અત્યારે દેશમાં 3 જ મુદ્દા સર્વોપરી છે. એક કિસાન આંદોલન, કોરોનાના આંકડા અને હવે રસીકરણ મુદ્દો છવાયેલો છે. 2021ની સવારને આપણે તે આશાએ વધાવી છે કે, હાશ…રસી આવશે..કોરોના નશ્યત થશે..અને ભારતના ખુલ્લા આકાશમાં ફરી તે આઝાદીની હવાઓ લહેરાશે…વાતમાં દમ પણ છે.
@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી…
દેશમાં હાલ રસીકરણનો જ્વર તેના અંતિમ ચરણોમાં છે. દેશભરમાં લગભગ 1400 જેટલા વૈજ્ઞાનિકો આ વેક્સિનની તૈયારીમાં જોડાયેલા છે. તેમજ લગભગ 30,000 જેટલા વોલિયન્ટર પર ત્રીજા તબક્કાની તૈયારીઓ છે. પૂર્વાભ્યાસ દ્વારા 96 હજાર જેટલા વેક્સીનેટરોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. અને રાષ્ટ્રીયપ્રશિક્ષણ દવારા 2360 પ્રશિક્ષક તૈયાર કરવામાં આવ્યા છે. દેશભરના 719 જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય 57 હજારથી વધુ કર્મીઓને સજ્જ કરાયા છે. સોફ્ટવેર સંબંધિત પ્રશ્નો માટે રાજ્ય હેલ્પ લાઈન નંબર 104 રેડી રાખવાની તૈયારી થઇ રહી છે. હે હેલ્પ લઈ 1075 સિવાયની હશે.
વિશેષમાં વેક્સિનેશનની સુવિધા રાષ્ટ્રીય સ્તરે સમાનરૂપથી વિતરણ કરી શકાય તે સુનિશ્ચિત કરવા પ્રારૂપ તૈયાર કરાયું છે. અને વળી અત્યાર સુધીના રસીકરણનો ઇતિહાસ બાળકો સુધીનો સીમિત છે જયારે આ વખતે એડ્લ્ટસ અને સિનિયર સિટિઝનનું રસીકરણ મુખ્ય રહેવાનું છે ત્યારે આ પણ સ્વાસ્થ્ય વિભાગ સામે એક ચેલેન્જ છે. અને આ બધાની સાથે આ મામલો જેટલો વૈજ્ઞાનિક અને ટેક્નિકલી પેચીદો છે તેટલો જ માનવીના સ્વભાવગત પણ વધારે જટિલ રહેશે.
વેલ, જેમ સૈન્ય યુદ્ધ માટે તૈયાર થાય તેમ સરકારી ફંક્શનરી રસીકરણ માટે તેના આયુધો અને મેન પાવર સજ્જ કરી રહ્યું છે. ત્યારે મુઠ્ઠીભર તત્વો દેશના નાગરિકોના રસી માટેની આશઁકાઓ દૂર કરી લોકોને આ માટે પ્રોત્સાહિત કરવાને બદલે અખિલેશ યાદવ જેવા વેલ એજ્યુકેટેડ નેતાઓ આ રસી પર પક્ષનું લેબલ લગાવી તેમની માનસિકતા દર્શાવી રહ્યા છે. તો તેમના જ પક્ષના કોઈ નેતા તેની આડ અસર પ્રજજન તંત્ર પર પડવાની વાતો કરી લોકોમાં ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. ટૂંકમાં આ એક ગંદી રાજનીતિનો ભાગ છે કે, જેમાં દેશના લોકોને પણ ઘસીટવાની નિર્માલ્ય કોશિશ છે.
પરંતુ મુદ્દાની વાત તો તે જ છે કે, અગર કોરોનાને નશ્યત કરવો હશે તો લોકોએ આવી આશંકા કે અફવાઓને ધ્યાનમાં લીધા સિવાય રસી લેવી તો પડશે જ…દેશના 60 % થી આસપાસના લોકો રસી લે તો જ હર્ડ ઇમ્યુનીટી બનવાની શક્યતા પ્રબળ બને અને કોરોના કન્ટ્રોલમાં આવે. બાકી જો અફવાઓ અને આશઁકાઓથી દોરવાઈ લોકો રસી લેવાથી ખચકાય તો સરકારનો આ યુદ્ધ ધોરણનો પ્રયાસ અને આપણી સમસ્યામાં બધું વેડફાઈ જાય..અને આપણે હતા ત્યાંને ત્યાં જ રહીશું. વાત રહી આડ-અસર ની તો આ માટે પણ સરકારની પૂર્ણ તૈયારીઓ છે જ..અને થોડી ઘણી આડ-અસર તો દરેક રસીની થાય જ છે.
વળી મુખ્ય બાબત તે છે કે, દરેકના શરીરની પ્રકૃતિ અને તાસીર અલગ હોય છે. આ બાબત કોરોનામાં પણ જોવા મળી છે.. ત્યારે રસીની પણ તે જ પ્રકારે અસર થાય. જે લોકોને એલર્જી કે દવાઓની આડ-અસર થતી હોય તેઓએ પોતે જ એલર્ટ મોડ પર રહીને રસી લેવી જોઈએ. બાકી યાદ રહે કે, દુનિયાભરમાં જયારે રસીકરણ નો દૌર શરુ થયો છે ત્યારે ક્યાંક તેવા કેસો નોંધાશે કે જેમાં ગંભીર આડ અસર થઇ હોય કે ઇવન કોઈના મોત પણ થાય પરંતુ આવા 2 કે 4 કેસોના લીધે કઈ સમગ્ર રસીકરણ પ્રક્રિયા જ શકના દાયરામાં ન આવી જાય. કે આવી આડ કોઈક કીસોમાં જોવા મળતી હોય છે, જે સ્વાભાવિક છે..બાકી આવું બનવાના …ખુબ જ ઓછા ચાન્સ હોય છે…..આખરે મેડિકલ સાયન્સ પણ એક ભરોસા પર તો ટકેલું છે.
અને આખરે આપણે રસીકરણ અને સોશ્યલ ડિસ્ટનસીંગ દ્વારા આ યુદ્ધ જીતવાના કગાર પર છીએ.. ત્યારે કેટલાક રાજકીય પક્ષો કે નેતાઓ દ્વારા આ હવનમાં હાડકા નખાવવા ના જ છે પરંતુ આપણે પણ સ્થિતિની ગંભીરતા અને આ કોમ્પ્લેક્ષમાંથી છૂટવાના ઉપાય તરીકે વેક્સિનને જ મંજુર રાખવી જોઈશે…તે સિવાય આપણી પાસે કોઈ ઉપાય નથી.. બાકી જયારે કોઈપણ રસી કે દવા રિલીઝ થાય ત્યારે તેની લાંબી લચક ક્લિનિકલ ટ્રાયલ અને પ્રક્રિયાઓને અનુસરીને જ થાય છે. તેથી તેમાં વિશ્વાસ મૂકી શકાય છે. ત્યારે આખરમાં હવે 2021 તે ઐતિહાસિક રસીકરણનો એક દોર હશે તે નોંધવું રહ્યું…અને વળી જયારે કરોડો લોકોને રસી આપવાની છે, ત્યારે આગામી સમયમાં તેની વહેંચણીમાં કદાચ સ્થાનિક ડોક્ટરોની પણ મદદ લેવાઈ શકે,, અન્યથા આટલી વિશાળ જનસંખ્યાને આ સુવિધા તેમ આસાનીથી પુરી ન પાડી શકાય.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…