ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવા ચુંટાયેલા ૧૮૨ ધારાસભ્યોની સોમવારે શપથવિધિ યોજાઈ હતી. સૌ પ્રથમ રાજ્યપાલ ઓ. પી. કોહલીએ કચ્છ જિલ્લાના ભાજપના મહિલા ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવી હતી. ત્યાર બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે પ્રોટેમ સ્પીકર તરીકે પદભાર સંભાળીને ડો. નીમાબેન આચાર્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, મંત્રીમંડળના સભ્યો, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કુલ ૧૭૯ ધારાસભ્યો એ વારાફરતી શપથ લેવડાવ્યા હતા. જયારે ભાજપના ૩ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. કુલ ૧૮૨ ધારાસભ્યોમાંથી ૩ ધારાસભ્યો વિભાવરીબેન દવે, જગદીશ પંચાલ અને પરષોત્તમ સોલંકી ગેરહાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, શપથ લીધા બાદ હવે ચુંટાયેલા સભ્યો વિધિવત રીતે ધારાસભ્ય એટલે કે વિધાનસભાના સભ્ય બન્યા છે અને તેઓને નિયમ પ્રમાણે ધારાસભ્યોને મળતા લાભો અને સુવિધાઓ મળતી થશે. બીજી બાજુ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક મહિના લાંબા સમયગાળા બાદ ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા.