બે લાખ લોકોને ખસેડાયા
રાજ્યના સંભવિત અસરગ્રસ્ત ૧૮ જિલ્લાઓમાંથી બેલાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા. રાજ્યમાં પ્રવર્તી રહેલ ‘‘તાઉ’તે’’વાવાઝોડાની પરિસ્થિતીને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ઝીરો કેઝયુલીટીના સંકલ્પ સાથે અસરકારક કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે રાજ્યના સંભવિત ૧૮ અસરગ્રસ્તજિલ્લાઓમાંથી બે લાખથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે સ્થાનિકવહીવટીતંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ જે જિલ્લામાં સ્થળાંતર કરાયુ છે એમાં અમદાવાદ જિલ્લામાં ૧૮૩૯ નાગરિકો,અમરેલીમાં ૧૯,૩૬૮, આણંદમાં ૬૯૪, ભરૂચમાં ૨૮૦૫, ભાવનગરમાં ૨૮,૩૩૪, દેવભૂમિદ્વારકામાં ૧૨,૩૧૯, ગીરસોમનાથમાં ૩૨,૨૫૦, જામનગરમાં ૨૫૧૫, જૂનાગઢમાં ૨૪,૩૧૩, કચ્છમાં ૩૨,૮૦૬, રાજકોટમાં ૬૯૧૫, મોરબીમાં૨૭૬૬, નવસારીમાં ૧૧૧૪, પોરબંદરમાં ૨૫,૧૪૯, સુરતમાં ૧૩૭૨, વલસાડમાં૨૪૧૭, બોટાદમાં ૨૮૯૨ અને ખેડામાં ૫૯૦ મળી કુલ ૨,૦૦,૪૫૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સરકારી તંત્ર બચાવ માટે તૈયાર
તો વાવાઝોડાથી થનારા નુકશાનને પહોચી વળવા માટે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની ૨૬૨ અને માર્ગ અને મકાન વિભાગની ૨૬૨ ટીમોને તૈતાન કરવામાં આવી છે. તે સિવાય વાવાઝોડા દરમિયાન પણ વિજ પુરવઠો જળવાઇ રહે તે માટે ૬૬૧ ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જ્યારે આરોગ્ય માટે ૪૪૪ તથા ૩૪૦ ટીમો મહેસુલી અધિકારીઓને ત્વરીત પગલાં ભરવા ડીપ્લોય કરવામાં આવી છે.
NDRFની ૪૧ ટીમો તૈનાત
તો દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોનો બચાવ અને રાહત માટે NDRFની ૪૧ ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યોર ૩ ટીમોને રીઝર્વ રાખવામાં આવી છે. તો SDRFની પણ ૧૦ ટીમોને રાહત અને બચાવકાર્ય માટે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવાઇ છે.
૧૪૨૮ એમ્બ્યુલન્સનું પાવરબેકઅપ
જ્યારે રાજ્યમાં કોવિડ-૧૯ની સ્થિતીને પહોચી વળવા માટે ૧૪૨૮ એમ્બ્યુલન્સનું પાવરબેકઅપ રાખવામાં આવ્યુ છે. જેમાં ૧૭૪ આઇસીયું એમ્બ્યુલન્સ અને ૬૦૭ એમ્બ્યુલન્સ-૧૦૮ની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો ઓક્સિજનની જરૂરીયાતને પહોચી વળવા માટે અને તેનું પરિવહન સરળતાથી થઇ શકે તે માટે ૩૮ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ ૪૭૬ ડીવોટરીંગ પંપ પર રાખવામાં આવ્યા છે. તેની સાથે વાવાઝોડામાં કોઇ જાનહાનિ ન સર્જા તેના ભાગરૂપે શહેરીવિસ્તારમાંથી ૨૨૮૯ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૬૭૮ હોર્ડિગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. તેમજ નુકશાન થઇ શકે તેવા ૬૬૮ હંગામી સ્ટ્રક્ચર પણ દુર કરવામાં આવ્યા છે.
ગુજરાત એસ.ટીના 3136 બસોના શિડયુલ અને 4 હજાર ટ્રીપ સ્થગિત
સંભવિત વાવાઝોડાના પગલે એસટી વિભાગ સક્રિય જોવા મળ્યું છે.વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારના તમામ સ્ટેશનમાં દર કલાકે એસટી દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પ્રભાવિત એરિયાથી 50 કિલોમીટર સુધીના તમામ વિસ્તારમાં બપોરે 3 વાગ્યાથી એસટીનું ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓ કે મહાનગરોમાં આવેલા એસટી બિલ્ડીંગમાં આવેલા હોર્ડિંગ પણ ઉતારી પણ લેવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે 3 દિવસનો ડિઝલનો એડવાન્સ જથ્થો એકઠો કરવામાં આવ્યો છે. એસટીની 3136 બસોના શિડયુલ અને 12 હજાર ટ્રીપમાંથી 4 હજાર ટ્રીપ સ્થગિત કરવામાં આવી છે. સાથે સાથે કોસ્ટલ વિસ્તારમાં રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદથી અધિકારીને વાવાઝોડાને પગલે ભુજ મોકલવામાં આવ્યા છે. એસટીના ઉના, અમરેલી, જામનગર, ગાંધીધામ, ભચાઉ અને અંજાર સહિત કોસ્ટલ એરિયામાં રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેમજ 24 કલાક કંટ્રોલ રૂમ મદદ માટે ચાલુ રાખવામાં આવશે. એસટીની 300 થી વધુ એસ ટી બસો તંત્ર દ્વારા સ્થળાંતર માટે ફાળવવામાં આવી છે. એસટીના વાવાઝોડાને અસર કરતા કેટલાક રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે.