જિલ્લાના અધિકારીઓ સાથે વડાપ્રધાનની સીધી ચર્ચાથી સર્જાતા સવાલો
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હવે કોરોનાથી વધુ અસરગ્રસ્ત બનેલા છ રાજ્યોના ૫૪ જિલ્લાઓના વહિવટી વડાઓ એટલે કે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને કમિશ્નર કક્ષાના અધિકારીઓ સાથે સીધી વાતચીત કરી જે તે જિલ્લાની કોરોના વિષયક પરિસ્થિતિ સાથે વેક્સીન ઓક્સિજન રેમેડેસિવર ઈંજેકશન હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા સહિતની વિગતો જાણવાનો અભિગમ અપનાવ્યો છે. વડાપ્રધાનનો ઈરાદો આ અંગે સારો છે તેમાં ના નથી પરંતુ અધિકારીઓ સાથે કે જિલ્લા કક્ષાવાળી બ્યૂરોક્રોસી સાથે સીધી વાત કરવાનો મતલબ શું છે ? વડાપ્રધાનના આ પગલાંને શું ગણી શકાય ? આમાંના બે ને બાદ કરતાં બાકીના ભાજપ કે એન.ડી.એ. શાસિત રાજ્યો છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનું શાસન છે. બાકી યુ.પી, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તો ભાજપશાસિત રાજ્યો છે. જાે કે આમાં રાજ્ય સરકારો કયા પક્ષની છે કે કેન્દ્ર સરકાર કયા પક્ષની છે તે મહત્ત્વની વાત નથી પરંતુ દેશના વડા લોકો સાથે મનની વાત કરે, ખેડૂતો સાથે સીધો સંવાદ કરે, વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સંબંધી વાતો કરે ત્યાં સુધી તો બધું બરોબર છે પરંતુ કોરોના અને આરોગ્ય સંબંધી પ્રશ્નો અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરે તે હોદ્દાને અનુરૂપ છે ખરૂં ?
બંધારણના જાણકારો આ અંગે કહે છે કે ભારતમાં સંસદીય લોકશાહી છે. ભારત પ્રજાસત્તાક દેશ છે. દરેક રાજ્યોને પોતાની સ્વતંત્રતા છે. આરોગ્ય કાયદો અને વ્યવસ્થા સહિતની બાબતો રાજ્યના જ કાર્યક્ષેત્રમાં આવે છે અને કેન્દ્રને જ્યારે એવું લાગે કે આ ક્ષેત્રમાં સ્થિતિ કથળી છે. ત્યારે રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી તેનો જવાબ માગી શકાય છે. પછી જે તે રાજ્યના મુખ્યમંત્રી જે તે જિલ્લાના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ પરિસ્થિતિ અંગે જાણકારી પણ મેળવી શકે છે. આ એક વાસ્તવિકતા છે. રાજ્ય સરકાર હોવા છતાં કામ કરે છે તેવી છાપ હોવા છતાં જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે આ રીતે સીધી વાતચીત કરે તે વડાપ્રધાનપદની ગરિમાને અનુરૂપ છે કે નહિ તે પછીનો પ્રશ્ન છે પણ વડાપ્રધાન મોદી જેને ફેડરલ માળખું કહે છે અથવા તો રાજ્યોનો અધિકાર છે તેવું કહે છે તે અધિકારો પર તરાપ સમાન છે તેવી ટીકા કોઈ વિપક્ષ કે બંધારણ નિષ્ણાત અગર વિશ્લેષક કરે તો તે જરાય ખોટી નથી. હા, વડાપ્રધાને જે તે રાજ્યોના રાજ્યપાલો પાસેથી વિવિધ રાજ્યોમાં મગાવે છે તેમ રિપોર્ટ મગાવ્યો હોત તો બરાબર હતું તેવું બંધારણ કહે છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યપાલો લોકાયુક્તની નિમણૂક કરે કે કેન્દ્ર સરકાર કોઈ બાબતમાં સીબીઆઈની તપાસ મોકલે અથવા તો ગોધરાકાંડના બનાવની તપાસ માટે કેન્દ્રે ટીમ મોકલી ત્યારે આવા દરેક પ્રસંગોએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એકથી વધુ વખત એવો આક્ષેપ કરેલો છે કે કેન્દ્ર રાજ્યના અધિકારો પર તરાપ મારીને દેશના પ્રજાસત્તાક માળખાને જાેખમાવી રહ્યા છે. જે બાબતોનો રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વિરોધ કરતા હતા તે બધી બાબતો અંગે ઉલ્ટુ વલણ અપનાવી રહ્યા છે તેવું ઘણા વિશ્લેષકોએ નોંધ્યું છે.
જાે કે ૨૦૧૪ પહેલા આ પ્રકારનું કાંઈ થયું હોત તો દેશવ્યાપી હોબાળો મચાવનારા પોતે સત્તા પર છે ત્યારે રાજ્ય સરકારોના બદલે પોતે જ જિલ્લા કક્ષાની બ્યુરોક્રસી સાથે સીધી વાત કરે ત્યારે આ અધિકારીઓ તો હવામાં આવી જવાના ને !? હવે આવા એક બે પ્રસંગો બને તો એવું ભયસ્થાન પણ આવી શકે કે જિલ્લા કક્ષાના અધિકારીઓ મુખ્યમંત્રી કે પ્રધાનોને ગાંઠતા નથી. આ પ્રકારની ફરિયાદો ઉભી થાય તો કોઈને આશ્ચર્ય નહિ થાય.
આમ તો હમણા ઘણા એવા બનાવો બન્યા છે જેમાં રાજ્ય સરકારો પર અમૂક નિર્ણયો લાદવામાં આવે છે. થોડા સમય પહેલાં વડાપ્રધાને પહેલા મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંદર્ભે ચર્ચા કરી ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને વેક્સીનેશનને વેગ આપવા સહિતની સ્થિતિ અંગે ચર્ચા કરી, વાતો કરી ત્યારબાદ બીજા જ સપ્તાહમાં રાજ્યપાલોની ઓનલાઈન બેઠક બોલાવીને પણ આજ પ્રકારની ચર્ચા કરી અને કોરોના બાબતે સર્વપક્ષીય બેઠક બોલાવવાનું સૂચન કર્યુ. જાે કે મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં કોરોના પ્રશ્ને સર્વપક્ષીય બેઠક તો મુખ્યમંત્રીઓએ જ બોલાવી છે. જ્યાં કેન્દ્રના સત્તાધારી પક્ષ રાજ્યમાં પણ સત્તાસ્થાને હોય ત્યાં વાંધો આવતો નથી. પરંતુ વિપક્ષ કે અન્ય પ્રાદેશિક પક્ષો જ્યાં સત્તાસ્થાને છે ત્યાં આ પ્રકારની વાતો ભારે પડી શકે છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામોના દિવસે થયેલી હિંસાની તપાસ માટે રાજ્ય સરકારની શપથવિધિના બીજા જ દિવસે ત્યાં કેન્દ્રની તપાસ ટીમ પહોંચી જાય તે કઈ રીતે યોગ્ય છે ? હજી તો ચૂંટણી પંચે ગોઠવેલા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની ફરજ ચાલું હોય ત્યાં ગૃહખાતું હિંસાના બનાવો અંગે તત્કાળ રિપોર્ટ મંગાવે તે શું સૂચવે છે. બંગાળમાં ભાજપના ૭૭ (જાે કે બે સંસદસભ્યોએ બેઠક ખાલી કરતાં આ સંખ્યા ૭૫ થઈ છે) ધારાસભ્યોને હિંસાખોરીનું બહાનું આપી એક્સ કક્ષાની સુરક્ષા આપવાનુ પગલું પક્ષીય રીતે યોગ્ય હશે પણ લોકશાહી પ્રજાસત્તાકના કાયદા અને નિયમોને નેવે મૂકનારૂં છે. દરેક ધારાસભ્યોને રક્ષણ આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે તે ન આપે તો કેન્દ્ર તેને ફરજ પાડી શકે. બાકી કેન્દ્રે પોતાના સુરક્ષાદળોને આ રીતે મોકલે તો તે રાજ્ય સરકારોની સત્તા પર તરાપ નથી તો બીજું શું છે ? કેન્દ્ર સરકારના ગૃહખાતું જાે એક રાજ્યના લોકપ્રતિનિધિઓ સુરક્ષા કવચ આપવા માગતી હોય તો માત્ર એક જ પક્ષના (એટલે કે કેન્દ્રના શાસક પક્ષના) સભ્યોને જ કેમ ? રાજ્યમાં સત્તાધારી પક્ષના ધારાસભ્યોને આવું સુરક્ષા કવચ કેમ નહિ ? આમ કહી કેન્દ્ર એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ અપનાવે છે તેવું કોઈ વિપક્ષ કે વિશ્લેષક કહે તો તેની વાત જરાય ખોટી નથી તેવું દાવા સાથે કહી શકાય તેમ છે.
રાજ્ય સરકાર પાસે રાજ્યના કોઈપણ પ્રશ્નો બાબતો અંગે જવાબ માગવાનો કેન્દ્રનો અબાધિત અધિકાર છે પરંતુ કોઈ બાબત અને તેમાંય કોરોનાની મહામારી જેવી ગંભીર બાબત અંગે રાજ્ય સરકારને સાથે રાખ્યા વગર વડાપ્રધાન જિલ્લાના અધિકારીઓ સાથે સીધી વાત કરે તે બંધારણ નિષ્ણાતોના મત પ્રમાણે રાજ્ય સરકારોના અધિકાર પર તરાપ મારવા સમાન છે. બંધારણીય અને લોકશાહીના નિયમો અનુસાર યોગ્ય તો નથી જ.