અમદાવાદ,
આગામી જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવાની છે. તારીખ ૨૮ જુનનાં ગુરુવારના રોજ રંગેચંગે યોજાનાર આ જળયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરેથી વહેલી સવારે ૮ વાગ્યે નીકળનાર આ જળયાત્રામાં આ વખતે ૧૦૮ કળશ, ૧૦૮ ધજા-પતાકા, ગજરાજ, સાધુ-સંતો અને ભજનમંડળીઓ જાડાશે.
આ ઉપરાંત જગન્નાથ માટે ખાસ કાવડમાં જાંબુ, કેરી, દાડમનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે.
જળયાત્રા મહોત્સવથી રથયાત્રાના પ્રસંગનો વિધિવત રીતે પ્રારંભ થાય છે. આ યાત્રા દરમિયાન સાબરમતી નદીના કિનારેથી ૧૦૮ કળશ ભરીને પાણી જગન્નાથ મંદિર લવાય છે, જે પાણીવડે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. ત્યારે આ જળયાત્રા માટેના તમામ કળશની અત્યારે સાફસફાઈ શરુ કરાઈ છે. તે માટે તમામ કળશ મંદીરના પટરાંગણમાં મુકવામાં આવ્યા છે.