હિંસક દેખાવો વચ્ચે શ્રીલંકામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને હિંસા કરનારાઓને ગોળી મારવાની પરવાનગી આપવામાં આવી છે. આ દરમિયાન હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશને સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં નવી સરકાર બનશે. તેમણે કહ્યું કે આગામી એક સપ્તાહની અંદર નવા વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવશે અને કેબિનેટની પસંદગી કરવામાં આવશે.
પ્રમુખ ગોટાબાયાએ કહ્યું કે જેની પાસે બહુમતી હશે તેની સરકાર બનશે. આ સાથે કેબિનેટ મંત્રીઓની પણ આ પછી પસંદગી કરવામાં આવશે. દેશમાં બગડતી પરિસ્થિતિને લઈને રાષ્ટ્રપતિએ લોકોને હિંસા ન કરવા અને વિરોધ પ્રદર્શન કરવાનું બંધ કરવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આર્થિક કટોકટીનો સામનો કરવામાં સરકારની “નિષ્ફળતા” અંગે દેશવ્યાપી વિરોધ વચ્ચે મહિન્દા રાજપક્ષે (76) એ સોમવારે વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. તેના સમર્થકોએ સરકાર વિરોધી વિરોધીઓ પર હુમલો કર્યાના કલાકો પછી, સત્તાવાળાઓએ દેશવ્યાપી કર્ફ્યુ લાદ્યો અને રાજધાનીમાં સૈન્ય કર્મચારીઓને તૈનાત કર્યા. આ હુમલા બાદ રાજપક્ષે તરફી નેતાઓ વિરુદ્ધ વ્યાપક હિંસા શરૂ થઈ ગઈ. શ્રીલંકા હિંસાથી હચમચી ગયું છે જેમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે.