ગુજરાત રાજ્યમાં કહેવાતી દારૂબંધીને લઈને અવારનવાર સવાલો ઉઠે જ છે. ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પણ ગત રોજ 13 ડિસેમ્બર એક કાર્યક્રમમાં દારૂબંધી ને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. જો કે તેમને પાછળથી પોતાની ભૂલ સમજાઇ હતી. અને ફેરવી તોળ્યું હતી.
તેમને પોતાના શબ્દો અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગેરકાયદે દારૂ વેચાય છે. દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં છૂટથી દારૂ વેચાય છે. જો આ દારૂ લીગલ વેચાતો હોત તો સરકારને ટેક્ષરૂપી ફાયદો થાય. ભાજપના નેતાઓ દારૂના વેચાણથી કમાય છે. ભાજપના નેતાઓ અને મળતિયાઓ દારૂથી કમાય છે.
ઈન્દિરાજી કહેતા કે ધનાઢય લોકો દારૂ પીવે તો ચાલે પણ સામાન્ય માણસ દારૂ ન પી શકે. ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય. દારૂબંધી અંગે ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નહીં ચાલે.
ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ સોલંકી દ્વારા અમદાવાદમાં યોજાનારી આર.જી પ્રીમિયર લીગના ઉદ્ધાટન સમયેદારૂબંધી હટાવવાનો ઇશારો કર્યો હતો. કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે, ઠંડીમાં જમવાની વ્યવસ્થા તો અમે કરી છે પરંતુ અન્ય વ્યવસ્થા થઇ શકે તેમ નથી. ઠંડી બહું છે પણ ગુજરાતમાં હાલ મનાઇ છે માટે વ્યવસ્થા થઇ શકે એમ નથી. જો કે તેમણે આડકતરો ઇશારો કરતા જણાવ્યું કે, સમય સાથે બદલાવ આવશે. દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે છે. જેના પગલે આડકતરી રીતે કોંગ્રેસ સરકાર આવે તો દારૂબંધી હટી શકે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઇ જાણે છે. ગુજરાતમાં બિનકાયદેસર રીતે જોવે તેટલો દારૂ મળે છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન પણ દારૂ મુદ્દે ભાજપ ઉપર આક્ષેપ કરી ચૂક્યા છે. બનાસકાંઠાના ભાભરના ધારાસભ્ય ગેનીબેન દ્વારા સત્તાધારી પક્ષ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોતાના ભાષણમાં ગેનીબેને રાજ્યમાં પોલીસ અને તંત્રની નાક નીચે વહી રહેલી દારૂની નદીઓ અંગે સત્તાધારી ભાજપના સભ્યો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ભાજપના સભ્યો દારૂના, જુગાર અડ્ડા ચલાવે છે. આ બધું ભાભરના લોકો બધું જાણે છે.
જ્યારે ભાજપના બહુબલી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડયિના નજીકનાં ગણાતા પોરબંદરના રાજુ મેર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં ગાંધીના ગુજરાતના આ બંને રાજકીય આગેવાન ખુલ્લેઆમ દારુ પીધાનો સ્વીકાર કર્યો હતો. ઓડિયો ક્લિપમાં રાજુ મેર મધુ શ્રીવાસ્તવને પૂછ્યું હતું કે, તમે પણ મારી જેમ દારૂ પીધો લાગે છે. તો પ્રત્યુતર રૂપે મધુ શ્રીવાસ્તવ કહ્યું હતું કે, ‘ હું તો રોજ દારૂ પીવું જ છું.’