સાબરકાંઠામાં લારીગલ્લા પાથરણાવાળાઓ વેપારીઓ રોષે ભરાયા છે. લારી ગલ્લા-પાથરણાવાળા વેપારીઓને જાહેર માર્ગ પરથી દૂર કરતા તંત્ર સામે બાંયો ચઢાવી છે. આ મામલે વિરોધ પ્રદર્શન કરવા રેલીની મંજૂરી માંગી હતી. પરંતુ સુરક્ષાના કારણોસર રેલીને મંજૂરી ના આપતા લારી ગલ્લા-પાથરણાવાળા વેપારીઓ આક્રમક મૂળમાં જોવા મળ્યા. આ વેપારીઓએ હવે સમગ્ર વિસ્તાર માથે લેતા પોલીસે બંદોબસ્ત સુરક્ષામાં વધારો કર્યો. જેના બાદ સમગ્ર ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું.
સમગ્ર રાજ્યમાં અત્યારે સુરક્ષાને લઈને પ્રશાસન દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સંદર્ભમાં સાબરકાંઠામાં પણ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગની સાઇડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને તંત્ર દ્વારા દૂર કરાયા છે. તંત્રની આકસ્મિક કામગીરીના પગલે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વેપારીઓનો સવાલ છે કે તંત્ર દ્વારા કામગીરી કરાતા પહેલા ચેતવણી આપી જોઈતી હતી. પ્રશાસનની જાહેર માર્ગ પર તેમને દૂર કરવાની કામગીરીને વેપારીઓએ વખોડી છે. વેપારીઓની માંગ છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી પોતાની જગ્યા પર ધંધો રોજગાર કરવા દેવામાં આવે.
લારી ગલ્લા-પાથરણાવાળા વેપારીઓને જાહેર માર્ગ પરથી દૂર કરાતા જીવન જરૂરી વસ્તુ માટે લોકોને હેરાનગતિ પડી રહી છે. સતત બે દિવસથી ઇડર શહેરમાં શાકભાજી ફ્રુટ તેમજ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો ધંધો રોજગાર ઠપ થયા છે. વેપારીઓએ તંત્ર સામે બાંયો ચડાવી વિરોધ યથાવત રાખતા પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારી અને તંત્ર વચ્ચેના વિવાદના કારણે સમગ્ર ઈડર શહેર સહિત સરકારી કચેરી પણ છાવણીમાં ફેરવાઈ ગયુ છે. હજુ પણ આવનાર દિવસોની અંદર તંત્ર દ્વારા વેપારીઓની માંગ ન સ્વીકારવામાં આવી તો વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો: ‘આપણાથી કયાંક કોઈ ભૂલ થઈ ગઈ છે’ ગેમઝોન અગ્નિકાંડ મામલે CMએ સ્વીકારી ભૂલ
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ
આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ