Gujarat News: વિધાનસભામાં અમૃત 2.0 મિશન હેઠળ રાજ્યમાં કરાયેલ કામો સંદર્ભેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમૃત 2.0 મિશન હેઠળ રાજ્યના શહેરો દ્વારા કુલ રૂ. 17717 કરોડની રકમના કુલ 922 કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના અંતર્ગત અંજાર શહેરમાં અમૃત 2.0 મિશન અંતર્ગત કુલ રૂ. 38.52 કરોડની રકમના ૫ કામો હાથ ધરાયા છે. જેમાં પાણી પુરવઠા, તળાવ નવીનીકરણ અને બાગબગીચા સહિતના કામોનો સમાવેશ થાય છે.
જે પૈકી રૂ. 25.95 કરોડની રકમનું 01 કામ પ્રગતિ હેઠળ , રૂ. 7.09 કરોડની રકમના 03 કામો ટેન્ડર પ્રક્રિયાના તબક્કે છે. તદ્ઉપરાંત રૂ. 5.48 કરોડની રકમનું ૦૧ કામ ડીપીઆર પ્રકિયા હેઠળ હોવાનું જણાવ્યું હતુ. મંત્રીએ વધું વિગતો આપતા જણાવ્યું હતું કે, અમૃત 2.0 મિશન અંતર્ગત કચ્છ જીલ્લાના અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા બારોઇ અને રાપર એમ કુલ 07 શહેરોનો સમાવેશ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2009માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગુજરાતમાં અમલમાં મુકાઇ હતી.
જેના અંતર્ગત પ્રથમ તબક્કો વર્ષ 2009થી વર્ષ 2012 માટે રૂ.7000/- કરોડ ની જોગવાઇ , બીજા તબક્કામાં વર્ષ 2012 થી વર્ષ 2017 માટે રૂ.15000 /- કરોડની જોગવાઇ અને ત્યારબાદ વર્ષ 2017-2018થી વર્ષ 2023-2024સુધી કુલ રૂ.35700 કરોડની જોગવાઇ કરાઇ હતી. આમ કુલ રૂ. 57700 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરીને રાજ્યના શહેરોના વિકાસ અને નવીનીકરણ માટે સરકારે પ્રયાસો કર્યા છે.
વર્ષ 2024-2025 માટે કુલ રૂ. 8633 કરોડની જોગવાઇ કરાઇ હતી જેની સામે વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ રૂ.12846 કરોડની જોગવાઇ કરી ચાલુ વર્ષે રૂ.4213 કરોડનો વધારો કરાયો છે. જે ગત વર્ષની સરખામણીમાં અંદાજીત ૫૦ ટકા જેટલો વધારો છે.
આ યોજના હેઠળ ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો , સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો , અર્બન મોબિલીટી શહેરી પરિવહનના કામો, શહેરની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો હાથ ધરવામાં આવે છે. ગુજરાતમાં આ યોજનાની સફળતાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-2015 માં સમગ્ર દેશમાં અમૃત 1 યોજના લાગુ કરી હતી. અમૃત મિશન હેઠળ ગુજરાતના 31 શહેરો, જેમા 08 મહાનગરપાલિકા, 22 ‘અ’ વર્ગની નગરપાલિકા અને 01 ‘ક’ વર્ગની નગરપપાલિકા (HRIDAY) નો સમાવેશ કરવામા આવ્યો હતો.
જેના અંતર્ગત અત્યારસુધીમાં કુલ-451 જેટલા કામો અંદાજીત રૂ. 5165 કરોડના ખર્ચે પૂર્ણ થયા છે. અમૃત 1 યોજનાની સફળતાને પગલે સમગ્ર દેશમાં વર્ષ 2021 થી અમૃત 2.0 યોજના અમલી બનાવવામાં આવી છે. અમૃત 2.0 મિશન અંતર્ગત આવરી લેવાયેલ કામોમાં કેન્દ્ર સરકાર નો ફાળો રૂ. 4512 કરોડ અને રાજ્ય સરકારનો રૂ. 5543 કરોડનો ફાળો તેમજ રૂ. 7662 કરોડ ULB નો ફાળો છે. અમૃત 2.0 મિશનમાં રાજ્યના શહેરો દ્વારા કુલ રૂ. 17717 કરોડના 922 કામો 03 (ત્રણ) સ્ટેટ વોટર એક્શન પ્લાન હેઠળ મંજુર કરાવામાં આવ્યા છે.