રાજ્યમાં કોરોના મહામારીનો અજગરભરડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બેકાબુ બનેલા કોરોનાને લઇ મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટીંગ કરાવી રહ્યા છે. ત્યારે આ મામલે સરકારી તંત્ર બેજવાબદાર પુરવાર થયું છે. RTPCR ટેસ્ટ પછી હવે એન્ટીજન કિટ્સમાં પણ તંત્ર વામણુ પુરવાર થતા નગરજનો ભગવાન ભરોસે મુકાઇ ગયા હોય તેવી સ્થિતી સર્જાઇ છે.
અમદાવાદમાં કોરોના બન્યો બેકાબુ
છેલ્લાં 24 કલાકમાં નવા 773 કેસ
એન્ટીજન કિટ્સ ખૂટી પડતાં ડોમ ખાલીખમ
કોરોનાની કીટ પુરી પાડવામાં તંત્ર નિષ્ફળ
કોરોના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેને પગલે કોરોના ટેસ્ટીંગ ડોમની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ એન્ટીજન ટેસ્ટ માટે ઉભા કરાયેલા ડોમમાં લોકો ટેસ્ટ કરાવવાની આશાએ ખરાતડકે લાંબી કતારો લગાવીને ઉભા રહેવા મજબુર બન્યા છે. બે કલાકથી લાઇનમાં ઉભા રહેવા છતાં વારો આવે ત્યાં સુધીમાં ટેસ્ટીંગ કિટ્સ ખૂટી પડતા લોકોને વિલા મોઢે પરત ફરવું પડી રહ્યુ છે. થોડી થોડી વારે કોરોનાની કીટ પુરી થઇ જાય છે. જ્યાં સુધી કીટ ન આવે ત્યાં સુધી લોકોને રાહ જોવી પડે છે.
મેડિકલ ટીમને નથી અપાતી પુરતી ટેસ્ટીંગ કીટ્સ
ટેસ્ટ કીટ પુરી થઇ જતા લોકો ફરે છે પરત
તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા નથી લેવાતા
અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા,જમાલપુર,વસ્ત્રાપુર લેક, અંકુર ચાર રસ્તા, બોડકદેવ, સેટેલાઇટ, પ્રહલાદનગર સહિત અનેક જગ્યાએ કોરોના ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. ડોમ પર કોરોના ટેસ્ટીંગ કરવા આવતી ટીમોને માત્ર 25 થી 50 કીટ્સ અપાતા ટેસ્ટીંગ કરાવવા આવનારા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દેરક ડોમમાં આ સ્થિતિનું નિર્માણ થતા ટેસ્ટીંગ ડોમ ખાલી જોવા મળે છે. પરંતુ તેની સામે તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવી રહ્યા નથી. ત્યારે હવે અમદાવાદમાં જો કોરોનાને નાથવો હશે તો ટેસ્ટિંગ અને રસી રામબાણ ઇલાજ હોવાથી તંત્રે પુરતી વ્યવસ્થા કરવી પડશે તો જ કોરોના જંગ સામે જીત મેળવી શકાશે.