અસંતુષ્ઠો લવારો કરે છે જેમને સત્તા છોડવી પડી હોય તેવા નેતાઓ પોતાની રીતે બળાવો વ્યક્ત કરે તે સમજી શકાય તેવી વાત છે. જેમની પાસે સત્તા હોય તેને ગુમાવવી પડે તે વાત કોઈ નેતાને પસંદ પડે નહિ કે તેમના ટેકેદારોને પણ આ વાત ગમે નહિ. અથવા તો સર્વ સત્તાધીશ હોવા છતાં એક રાજ્યમાં સત્તા મેળવવા ખૂબ ધમપછાડા કર્યા પછી પણ સત્તા મળે નહિ અને તે સત્તા ન મળ્યાની કિંમત વસૂલ કરવા ગમે તેવા પગલા ભરે, લોકશાહીના મૂલ્યોનું ચીરહરણ કરે તે અત્યંત સહજ અને સ્વભાવિક બાબત છે. પરંતુ જેની પાસે કશું મહત્વનું હોય નહિ, અથવા તો ભૂતકાળમાં જે હતું તે પણ ગુમાવવું પડ્યું હોય તેવા સંજોગોમાં જે પક્ષના નેતા જ્યાં હાથ નાખે ત્યાં વિજયના બદલે હતાશા અને આશાને બદલે નિરાશા મળતી હોય તે નેતાની રાજકીય ક્ષમતા પક્ષને નુકસાનકર્તા પૂરવાર થતી હોય છે. કોઈ પર આડેધડ પ્રહારો કરવાથી કોઈને ખ્યાતિ મળતી નથી અને મત પણ મળતા નથી. લોકો તાળીઓ પાડે તેવા પ્રવચનો મત અપાવે કે તેની કોઈ ખાતરી નથી.
આ બધી નીરાશાવાદી વાત અને એક જ પ્રકારની જીદ આ પક્ષ માટે નુકસાનકર્તા પૂરવાર થતી હોય છે. આ નેતા છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ફરીવાર અધ્યક્ષપદ અને વડાપ્રધાન પદનો તાજ પહેરવાના જેના અભરખા છે તે યુવાવસ્થા પાર કરવાની તૈયારીમાં છે તેવા નેતા રાહુલ ગાંધી છે આ નેતા અંગે ઘણા વિશ્લેષકો કહે છે કે, તેની પાસે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પૂત્ર કે ઈંદિરા ગાંધીના પૌત્ર કે જવાહરલાલ નહેરૂના દૌહિત્ર સિવાય બીજી કોઈ લાયકાત હોય તેવા પૂરાવા કોઈ વિશ્લેષકોને જાણવા મળ્યા નથી. અથવા તો દેશી ભાષામાં કહીએ તો આવો પૂરાવો શોધવા દીવો લઈને નીકળવું પડે તેવી સ્થિતિ છે. તમિલનાડુમાં રાજ્ય સભાની બેઠકનો કોંગ્રેસના મોઢામાં આવેલો કોળિયો આ ગાંધી પુત્ર (રાહુલ)ની જીદના કારણે કોંગ્રેસના મોઢામાંથી છીનવાઈ ગયો છે તેવી દેશના મોટાભાગના અખબારોએ નોંધ લીધી છે. તમિલનાડુના તો ઠીક પણ કોંગ્રેસના મોટા ભાગના આગેવાનો પણ રાહુલ ગાંધીના આ વલણથી નારાજ છે. આ નારાજગીનાં પગલાંની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે.
તમિલનાડુમાં કોંગ્રેસ એ શાસક ડીએમકેનો સાથીદાર પક્ષ છે ત્યાં ડીએમકેની આંગળી પકડીને જ કોંગ્રેસે ૧૭ બેઠકો મેળવી છે. હવે ત્યાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના મોવડીઓએ એવો દાવો કર્યો કે અમને રાજ્ય સભાની બે બેઠક પૈકી એક લડવા મળે તો સારૂ. કોંગ્રેસ મોવડી મંડળે આ અંગે ડીએમકેના સુપ્રિમો અને મુખ્યમંત્રી સ્ટાલિન સાથે મંત્રણા કરવા રાજ્ય સભાના પૂર્વ નેતા ગુલામનબી આઝાદને મોકલ્યા. આઝાદે પોતાની ફરજ નીભાવી સ્ટાલિન સાથે ચર્ચા કરી. આ બેઠકો કોંગ્રેસને આપવા માટે તેમને સંમત પણ કર્યા કોંગ્રેસના મોવડી મંડળ આ માટે નામ નક્કી કરવાની મથામણ કરતું હતું પી.ચીદબંરમ સહિત મોટાભાગનાં કોંગ્રેસી નેતાઓનો એવો સૂર હતો કે, ડીએમકેએ આ બેઠક કોંગ્રેસને ગુલામ નબી આઝાદના પ્રયાસોથી ફાળવે છે અને અંદરખાનેથી એવો આગ્રહ પણ રાખ્યો છે કે, ગુલામ નબી આઝાદ આ માટેના લાયક ઉમેદવાર છે તેથી કોંગ્રેસે તેમની પસંદગી જ કરવી જોઈએ.
પરંતુ જી-૨૩ના અગ્રણી મનાતા ગુલામ નબી આઝાદ કોંગ્રેસના આ યુવરાજને ન ગમે તે સ્વભાવિક બાબત છે. રાહુલ ગાંધીએ ગુલામ નબી આઝાદના નામ પર ચોકડી મૂકી અને તેમણે કોંગ્રેસને ડેટા એનાલીસીસ વિગના ચેરમેન પ્રવિણ ચક્રવર્તીનું નામ આગળ ધર્યુ. આ નામ ડીએમકેના સુપ્રિમો સ્ટાલિનને મંજૂર નહોતું. તેથી આખરે ડીએમકેએ પોતે જ બે બેઠકો લડવાનું નક્કી કર્યુ અને કોંગ્રેસને બેઠક ફાળવવાનું માંડી વાળ્યું અત્યારે તો ડીએમકેએ ડો.કનીમોઝી એન.વી.એન સોનું તેમજ કે.આર. એન.રાજેશકુમારના નામ પસંદ કરી લીધું છે અને કોંગ્રેસને રાજ્ય સભામાં પોતાની તાકાત વધારવા માટે હાથ ઘસતા રહી જવું પડે તેવી સ્થિતિ છે. કોંગ્રેસ તમિલનાડુમાં પોતાના પક્ષના ૧૭ સભ્યોના સહારે ચૂંટણી જીતી શકે તેમ નથી. ગુલામ નબી આઝાદ જો લડે તો તેમને ટેકો આપવા માટે ક‚ણાનિધિ પુત્ર સ્ટાલિનનું ગણિત એ હતું કે, આઝાદ ઉત્તરભારત એટલે કે જમ્મુ કાશ્મીરના મુસ્લીમ નેતા છે તેમની પ્રતિભાનો પણ લાભ મળે તેમ છે. તેથી ગુલામનબી ઉમેદવાર બને તેવી શરદ મૂકી હતી પરંતુ રાહુલ ગાંધીએ જીદ પકડી કે કોંગ્રેસનો ઉમેદવાર અન્ય કોઈ પક્ષ એટલે કે ડીએમકે નક્કી કરે તે કેમ ચાલે? તેમનો તર્ક સાચો છે પણ તમિલનાડુમાં કોંગ્રેસ ડીએમકે સાથેના જોડાણના કારણે જ આટલી બેઠકો જીતી શકી છે તે પાયાનું સત્ય કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા. સ્ટાલિન ચક્રવર્તીના નામને સ્વીકારવા તૈયાર ન હતા અને રાહુલ ગાંધીએ આ નામનો આગ્રહ (કે દુરાગ્રહ) ચાલું રાખ્યો તેના કારણે ડીએમકેએ હવે રાજ્યસભાની બન્ને બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આમ દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસને ગાંધી પરિવારના યુવરાજની જીદ નડી ગઈ છે.
આ અંગે તમિલનાડુના અખબારોએ તો નોંધ લઈ રાહુલ ગાંધીની વલણની ટીકા કરી જ છે. દિલ્હીના અખબારોએ પણ આ બાબતનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે રાહુલની જીદ ફરી એકવાર કોંગ્રેસને નડી ગઈ છે. પંજાબના રાજીનામું આપનારા મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંઘે પણ રાહુલ ગાંધીને બાળક જેવા ગણાવી તેઓ તેમના સલાહકારોની ખોટી સલાહથી ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યુ હતું હકિકતમાં તો કેપ્ટને રાહુલ પોતાની ઉંમરની અર્ધી સદીની નજીક પહોંચી રહ્યા હોવા છતાં તેમનામાં બાળક બુદ્ધી છે તેવું કહેવાનો તેમનો ઈરાદો હતો. વિશ્લેષકો નોંધે છે કે, રાહુલ ગાંધી પહેલા મહામંત્રી પછી ઉપાધ્યક્ષ અને પછી અધ્યક્ષ બન્યા તે સમયગાળામાં કોંગ્રેસને એક પછી એક અનેક પરાજયો સહન કરવા પડ્યા તે પણ એક હકિકત છે.
Digital Health ID / શું તમને ડિજિટલ હેલ્થ આઈડેન્ટિટી કાર્ડની જરૂર છે, તમે ઘરે બેઠા આ રીતે બનાવી શકો છો
Digital Health ID / શું તમને ડિજિટલ હેલ્થ આઈડેન્ટિટી કાર્ડની જરૂર છે, તમે ઘરે બેઠા આ રીતે બનાવી શકો છો
સાવધાન! / વનપ્લસના ફોન પછી, હવે ચાર્જરમાં લાગી આગ, વપરાશકર્તાનો દાવો – ચાર્જરમાં બોમ્બની જેમ વિસ્ફોટ થયો હતો