રાજકોટ,
મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા ક્વાર્ટર્સના બાંધકામમાં બેદરકારીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે શહેરના એસટી વર્કશોપ નજીક આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મુખ્યમંત્રી આવાસ ક્વાર્ટર્સની લિફ્ટ પર પાંચમા માળેથી નીચે પટકાતાં પ્રૌઢનું મોત નીપજ્યું હતું. આ લિફ્ટની નબળી ગુણવત્તા અને લાપરવાહીને કારણે પ્રૌઢનું મૃત્યુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ જેતપુરના બાવાપરા સહકારી મંડળી પાછળ રહેતા 58 વર્ષીય હસમુખભાઇ રતનશીભાઇ નાગર એસ.ટી. વર્કશોપ નજીક મુખ્યમંત્રી આવાસ યોજનાની વીર નર્મદ ટાઉનશિપમાં રહેતા તેમના ફઇના પુત્રીના ઘરે આવ્યા હતા.
જ્યાં પાંચમા માળેથી નીચે ઉતરવા હસમુખભાઇએ લિફ્ટની સ્વિચ દબાવી હતી અને લિફ્ટ પ્રથમ માળેથી ઉપર આવી રહ્યાનો એરો પણ દર્શાવવા લાગ્યો હતો અને એરો બંધ થતાં લિફ્ટ આવી ગયાનું સમજી ડોર ખોલી તેઓ લિફ્ટમાં પ્રવેશવા અંદર ગયા હતા. પરંતુ આ સાથે જ તેઓ પહેલા માળે ઊભેલી લિફ્ટ પર પટકાયા હતા.
આ બનાવમાં છાતીમાં ગંભીર ઇજા થતાં હસમુખભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતાં માલવિયાનગર પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો.
જેમાં નાગર પરિવારે આક્ષેપ કર્યો હતો કે, મુખ્યમંત્રી આવાસ યોજના વીર નર્મદ ટાઉનશીપ બન્યાને હજુ છ મહિના પણ વિત્યા નથી ત્યાં લિફ્ટના ધાંધિયા શરૂ થયા હતા. જવાબદારોએ લિફ્ટની ગુણવત્તા અને મેન્ટેનન્સમાં કાળજી નહીં રાખતા બનેલી દુર્ઘટનામાં હસમુખભાઇનું મોત થયું હોવાનો આક્ષેપ પણ પરિવારે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, લિફ્ટમાં ક્ષતિ થવાને કારણે દુર્ઘટના બન્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે આ મામલે લિફ્ટના નિષ્ણાતોનો અભિપ્રાય મેળવવામાં આવશે અને બાદમાં જરૂર પડ્યે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.