રાજકોટના મોટા નામાંકિત બિલ્ડર હાલ આર્થિક ભીંસમાં હોય તેનો પુત્ર મુંબઈ લોન માટે ગયા બાદ ટ્રેન મારફતે પરત રાજકોટ આવતો હતો ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ભેદી સંજોગોમાં ગુમ થતાં અનેક તર્ક–વિતર્ક સર્જાયા છે.ગોંડલ રોડ પર કાંગશીયાળી પંથકમાં આસ્થા રેસીડેન્સી અને કલ્પવન નામની મોટી સાઈટ ધરાવતાં અને મોટા પ્રોજેકટ હાથ ઉપર લેનાર કિશોર સખીયા છેલ્લા ઘણા વખતથી આર્થિક ભીંસમાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે
રાજકોટના જે.કે.હોલવાળા બિલ્ડર બાબુભાઈ સખીયાનો યુવાન પુત્ર મુંબઈથી ટ્રેનમાં રાજકોટ આવવા નીકળ્યો હતો. રાત્રે ૨ વાગ્યે તે અમદાવાદ પહોંચ્યા બાદ મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. કિશોર સખીયા ગુમ થવા પાછળ અનેક રહસ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ તે મુંબઈ લોન અર્થે ગયો હતો અને પરત ટ્રેનમાં રાજકોટ આવતો હતો ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી તે રહસ્યમય રીતે લાપત્તા બન્યો છે.
આ ઘટનાથી બાબુભાઈના સગા–સંબંધીઓ તેમજ મિત્રો અને શુભચિંતકો તેમના ઘરે દોડી ગયા હતા અને આ બાબતે પોલીસ અધિકારીઓનો સંપર્ક કરતાં કિશોર સખીયાનો પતો લગાવવા પોલીસે પણ ગુપ્ત રીતે તપાસ શરૂ કરી છે અને મોબાઈલના કોલ ડિટેઈલના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવ અપહરણનો છે કે પછી કિશોર સખીયા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે ? તે મુદ્દે બિલ્ડર લોબીમાં ચર્ચા જોવા મળી રહી છે.