ગુજરાતને ઓળખ અપાવવા વિશ્વનાં લોકોને બિગ બી કહી જ રહ્યા છે, કે – કુછ દિન તો ગુજારો ગુજરાત મેં.. સૌરાષ્ટ્રની ઓળખ માટે એટલું કહેવું કાફી છે કે, બસ ખાલી સાતમ-આઠમ કરો સૌરાષ્ટ્ર મેં..
રાજકોટ રંગીલું અને સૌરાષ્ટ્ર મસ્તીનું છે. અહિયાંનાં લોકોની દુનિયાનો છેડો ઘર અને ઘરનો છેડો પાનનાં ગલ્લા, બગીચાની પાળી, ડેમનો પુલ, સાંધ્ય બજારો, મોલ્સથી લઈ સગા-સંબંધીનાં સરનામાં છે, તો સ્વર્ગનો દ્વાર રાજકોટ છે. જી.. હા. રાજકોટની રાપચીક રોનક વિશે જેટલું પણ સાંભળ્યું અને વાંચ્યું હોય એ અનુભવવાનો સમય આવી ગયો છે. કેમ કે, જશન અને ટશનની સેશન શરુ થવા જઈ રહી છે. ઘરે-ઘરે તેલનાં તાવડા મંડાઈ તીખાં-મીઠાં ફરસાણો-પકવાનો બનાવાય રહ્યાં છે. રેલ્વે-બસ-એરની ટિકિટ્સ બુક થઈ ગઈ છે. રાજકોટની નજીકનાં સ્થળોથી લઈ ગોવા-આબુ ટૂર પેકેજમાં ફરવાની સાઈટ્સનું લીસ્ટ બની રહ્યું છે. બસ ગણતરીના કલાકોમાં રાજકોટમાં અનિશ્ચિત મુદતનો સ્વયંભુ કરફ્યુ લાગશે. એટલે બજારોમાંથી પત્તાં, પાર્સલ પાન-ફાંકી સાથે કપડાં, નાસ્તા, જીવનજરૂરી ચીજવસ્તુઓ અને માલસામાનની ખીસ્સાફાડ ખરીદીઓ થઈ રહી છે. અગત્યનાં બધા જ કામ બાજુ પર મુકાઈ જ્યાં હોય ત્યાં એક જ રાગડો તણાતો કાને પડે છે : ‘સાતમ-આઠમ પછી રાખોને શેઠ…’ આર યુ રેડી ફોર ફનફેર?
રાજકોટમાંથી જેટલાં સાંજનાં છાપા બહાર પડે છે, રાજકોટમાં જેટલાં ડેમો છે, રાજકોટમાં જેટલાં ખૂણાઓ છે, રાજકોટમાં જેટલાં મેદાનો-પ્લોટ્સ છે અને રાજકોટમાં જેટલાં ફરવાનાં સ્થળો છે તેટલા મેળા રાજકોટમાં એકસાથે જુદા-જુદા સ્થળે થાય છે. રાજકોટનાં મેળા એન્ટી ગરીબી, બેકારી અને હવે તો એન્ટી જીએસટી છે. આથી જ “જલસા’ જેમનો જીવનમંત્ર છે, એવા રાજકોટવાસીઓ સાતમ-આઠમમાં એવરેજ દિવસમાં બે વાર મેળામાં જાય છે અને એકવાર બહાર જમે છે. ઉપરાંત ઘરમાં નાસ્તાગૃહમાં પણ ન હોય એટલો નાસ્તો હોવા છતાં બહારથી નાસ્તો મંગાવી આરોગે છે. એટ્લે જ શ્રાવણનાં ઉપવાસીયા માસમાં બીજા ગામનાં હોટેલ-રેસ્ટોરાંવાળા ભલે મંદા હોય પણ રાજકોટનાં હોટેલ-રેસ્ટોરાંવાળા ગંદા હોય તો પણ ચંગા લાગે. શોપિંગ મોલ્સ પણ આ દિવસો દરમિયાન ગ્રાહકો કમ મુલાકાતીઓથી ઉભરાય છે. કોઈપણ ફિલ્મ હોય વાર-તહેવારે એકવાર તો જોવાની ને? એસટી તંત્ર હોય કે કોઈપણ સરકારી-ખાનગી એકમ હોય મેળો એટલે ખર્ચ અને કમાણીની સીઝન. પણ હા, જેટલાં વાપરવાનાં એટલાં પાછાં કમાઈ લેવાના.. સિમ્પલ. ભાવવધારો હોય કે કાળાબજારી બધું જ રાજકોટિયનનાં મૌજ-શોખ અને રાજાશાહી-સાહિબી આગળ ટૂંકું અને ફિક્કું જ લાગે દાદા.
નાગપાંચમથી દસમ. છ દિવસ બધું જ જડબેસલાટ બંધ એટલે બંધ. અગિયારસએ વેપાર-ધંધા ખુલે તો ખુલે બાકી નહીં. રાજકોટમાં દર વર્ષે લોકમેળાને બાદ કરતા આશરે ત્રણથી પાંચ મેળાઓ થતા આવ્યા છે. રાજકોટની વસ્તી ૨૦-૨૫ લાખ ભલે હોય પણ એક મેળામાં દરરોજનાં ૨થી ૩ લાખ લોકો હાજરી નોંધાવે છે એટલે કે, દરેક મેળામાં જો આટલી જ હાજરી હોય તો આખું રાજકોટ દરરોજ મેળામાં જાય છે! ના..રે..ના.. અહીં પૂરા સૌરાષ્ટ્ર-ગુજરાત-ભારતમાંથી લોકો આવે છે. જે લાખો લોકો કરોડો લોકોની રોજગારીનું માધ્યમ મેળા થકી બને છે. મીન્સ ફન વિથ અર્ન. અને એટલે જ નવાઈની વાત છે કે, દુનિયાનાં કોઈપણ ફેસ્ટિવલમાં જમા ન થાય એટલાં લોકો અહીં એક સાથે એક સ્થળે ભેગા થવા છતાં હજુ પણ રાજકોટનો રંગીલો મેળો વિશ્વવિક્રમની શ્રેણીમાં કે દુનિયાનાં લોકોની નોંધપોથીમાં નથી! વળી, રાજકોટનાં લોકમેળામાં એકસાથે લાખો લોકો જમા થવા છતાં આજ સુધી ભાગાભાગી, જાનહાની બની નથી. કદાચ કાળીયા ઠાકોરની કૃપા છે.
અરે હા, મેળા જોડે જન્માષ્ટમી આવે. કાનાનો જન્મદિવસ, જાજરમાન-ભપકાદાર મેળા, રજાઓની માત્ર મજાઓ, હરવા-ફરવા-જમવાનું વાહ રે.. કેટકેટલું હોય રાજકોટનાં મેળાઓમાં અને એટલે જ દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ હોય કે પછી હવામાન વિભાગની આગાહી હોય કે નહીં રાજકોટનો લોકમેળો માણવા ખુદ મેઘરાજાની સવારી આવી ચઢે.
રાજકોટ સિવાય ભારત અને દુનિયાભરમાં વિવિધ મેળાઓ થાય છે પણ અહીના મેળાઓની વાત દાઢે વળગે અને તાળવે ચોટે એવી છે. અહીનાં મેળાઓમાં રાઈડ્સ, ટોયસ, માર્કેટિંગ અને પ્રમોશન સ્ટોલ્સ સિવાય કશું નાવીન્ય હોતું નથી છતાં પણ મેળાની રોશનીથી ઝગમગતો દિલમોહક રાત્રી નજારો જાણે સ્વર્ગનું પ્રતિબિબ પાથરે છે. અને ફક્ત મેળો જ કેમ? આજી, ન્યારી, લાલપરી અને ભાદર ડેમ પણ જોઈ લેવું. ઈશ્વરીયા, રતનપર, ત્રંબા, જડેશ્વર, ચોટીલા, વીરપુર, ભૂતનાથ, ઓસમ ડુંગર, અનળગઢ અને હિંગોળગઢ પણ જઈને જોઈ આવજો અને ક્યાંય ન જવું હોય તો ફક્ત રાજકોટનાં રસ્તા પર એકવાર લટાર મારજો. સાહેબાન-કદરદાન એક એકથી ચડિયાતી થીમ્સ પર તમોને વર્લ્ડનાં બેસ્ટ અને લાર્જેસ્ટ મ્યુઝિયમમાં નહીં જોવા મળી હોય એ પ્રદર્શની અહીં જોવા મળશે. ખાસ તો રાજકોટનાં મેળાઓમાં તમને ટાબરિયાઓ કરતાં મોટેરાંઓ હાથમાં કેન્ડી લઈ આમ-તેમ રખડતાં હરખપદુળાઓ થતા ન જોવા મળે તો કહેજો. આફ્ટર ઓલ રાજકોટ અને મેળો એકમેકની દર્પણ પ્રતિતી છે.
મોજ-મજાની મહેફિલનાં મનમોજી રાજકોટિયન મેળાની એકપણ વાતની ખરાઈ કરવી હોય તો સાતમ-આઠમનાં દિવસે ગમે ત્યારે માત્ર જીપીઆરએસ મેપ પર રાજકોટનાં રસ્તાનો ટ્રાફિક જો જો બકાઓ.. તમને પણ બચ્ચા બની મેળાની જનમેદનીમાં ઉમટી પડવાનો ઉમળકો જરૂર થશે. આ રાજકોટનો મેળો મેઘધનુષી માનવ મહેરામણનું મિરર છે. મેળો એ રાજકોટની ઓળખ નહીં પરંતુ રોનકનો એક ભાગ છે. એ… હાલો.. હા…લો.. મેળે જઈએ..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.