Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની પાણી (RMC Water Crisis) વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પીવાના પાણીના નમૂનાઓમાંથી 13 સેમ્પલ ફેલ થયા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, એપ્રિલ 2026 દરમિયાન લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાં બેક્ટેરિયાની હાજરી મળી આવતા પાણીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે.
સેન્ટ્રલ ઝોનના 9 અને વેસ્ટ ઝોનના 4 સેમ્પલ ફેલ
પાણીના સેમ્પલની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે,સેન્ટ્રલ ઝોનમાંથી 9 પાણી (RMC Water Crisis)ના નમૂના ફેલ થયા અને વેસ્ટ ઝોનમાંથી 4 પાણીના નમૂના ફેલ થયા આ સેમ્પલ અલગ અલગ રહેણાંક વિસ્તારોમાંથી લેવામાં આવ્યા હતા. તપાસમાં પાણી દૂષિત અને બેક્ટેરિયાયુક્ત હોવાની માહિતી સામે આવી છે.

RMC Water Crisis: પાણીજન્ય રોગચાળાની ચિંતા વધી
દૂષિત પાણીના કારણે શહેરમાં પાણીજન્ય બીમારીઓનું પ્રમાણ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં નોંધાયેલા આંકડા મુજબ, દર મહિને ઝાડા-ઊલટી, ટાઇફોઇડ અને કમળા જેવા પાણીજન્ય રોગોના સરેરાશ 1100 જેટલા કેસ સામે આવી રહ્યા છે.જો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો વધુ મોટો હોવાની શક્યતા છે.

અગાઉ પણ સામે આવી હતી પાણીની ગુણવત્તાની સમસ્યા
રાજકોટમાં દૂષિત પાણીનો મુદ્દો અગાઉ પણ ચર્ચામાં આવ્યો હતો. મે 2025માં પાણી (RMC Water Crisis)ના 22 સેમ્પલ ફેલ થયા હોવાની માહિતી સામે આવી હતી. તે સમયે પણ મોટી સંખ્યામાં લોકોને બેક્ટેરિયાયુક્ત પાણી મળ્યું હોવાના આક્ષેપો થયા હતા. આ મામલે પાણીના રિપોર્ટને સમયસર જાહેર ન કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોમાં રોષ, જવાબદારો સામે કાર્યવાહીની માંગ
વારંવાર પાણીના સેમ્પલ ફેલ થવાની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.નાગરિકોનું કહેવું છે કે ચોખ્ખું અને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવું મહાનગરપાલિકાની પ્રાથમિક જવાબદારી છે. તેમ છતાં વારંવાર આવી સ્થિતિ સર્જાતા લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
મનપાનો દાવો: પાણીની ગુણવત્તા માટે સતત તપાસ ચાલુ
આ મામલે મનપાના અધિકારીઓનું કહેવું છે કે રાજકોટવાસીઓને ગુણવત્તાયુક્ત પાણી મળે તે માટે કમિશનર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મનપા દ્વારા મે અને જૂન મહિનામાં ત્રણેય ઝોનમાંથી 7228 રિસેડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ સેમ્પલ અને 262 બેક્ટેરિયોલોજિકલ તપાસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, અક્ષરનગર, અમિતનગર અને કૈલાશધારા વિસ્તારમાં કેટલાક સેમ્પલ શંકાસ્પદ મળ્યા હતા, જેના બાદ તાત્કાલિક એન્જિનિયરોને જાણ કરી જરૂરી રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાનું ‘ક્લીન ફૂડ’ મિશન! ઊંધિયું-ચીકી અને પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
આ પણ વાંચો:મેયરના વોર્ડ સહિત અનેક વિસ્તારોમાં બેક્ટેરિયા યુક્ત દૂષિત પાણી, 6 સેમ્પલ ફેલ થતાં ચિંતા વધી
