એક વખત રામના ગુરુ વિશ્વામિત્રએ રામને યયાતિનો વધ કરવા આદેશ કર્યો. આ જાણીને યયાતિએ હનુમાનજી પાસે મદદ માંગી. યયાતિનો વધ કરવા માટે રામ આવી રહ્યા છે એ જાણ્યા વગર જ હનુમાનજીએ યયાતિને વચન આપી દીધું કે કોઈ પણ પ્રકારના સંકટ સામે એનું રક્ષણ કરશે.
આમ, હનુમાનજીએ રામ સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું! રામ તો એમના ગુરુ વિશ્વામિત્રના આદેશનું પાલન કરવા માટે યયાતિ સામે લડતા હતા એટલે એમણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ હનુમાનજીએ એમના ભગવાન રામ સામે કોઈ પણ શસ્ત્રનો ઉપયોગ ન કર્યો. હનુમાનજી તો યુદ્ધભૂમિમાં રામ નામનું રટણ કરતા ઉભા રહ્યા.
રામ નામ રટતા હનુમાનજી પર રામના ધનુષમાંથી નીકળતા તીરની કોઈ જ અસર થતી નહોતી. રામ નામનું રટણ જ એમનું રક્ષણ કરતું હતું. છેવટે રામે નમતું જોખ્યું. ગુરુ વિશ્વામિત્રએ હનુમાનજીની રામ પ્રત્યેની આવી ભક્તિ અને એમનું શોર્ય જોઇને રામને એમના આદેશમાંથી મુક્ત કર્યા. એમણે હનુમાનજીને “વીર હનુમાન” એવું નામ આપ્યું.