રાવણ એ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. એ મહાવિદ્વાન, ઉત્તમ રાજવી અને વીણા વાદનનો ઉસ્તાદ હતો. વિદ્યા મેળવ્યા બાદ, નર્મદા નદીને કિનારે રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા ઉગ્ર તપ કર્યું. ભગવાનને પ્રસન્ન કરવા રાવણે એનો પોતાનો શિરચ્છેદ કર્યો. દર વખતે એનો શિરચ્છેદ થતો ત્યારે એનું શિર ફરી આવી જતું. આવું દસ વખત બન્યું. અંતે શિવજી પ્રસન્ન થયા. રાવણે દસ વખત શિર બલિદાન કર્યું હતું એટલે શિવજીએ એને દસ માથાં આપ્યાં. હકીકતમાં આ દસ માથાં એટલે રાવણે છ શાસ્ત્રો અને ચાર વેદ પારંગત કર્યા હતા એ સૂચવે છે.
રાવણે પછી લંકા ઉપર વિજય મેળવ્યો. ત્યાર બાદ એ શિવને મળવા કૈલાશ ગયો. શિવના રક્ષક નંદીએ એને પ્રવેશ ન આપ્યો. આથી રાવણ ચિડાઈ ગયો અને એણે નંદીની સતામણી કરી. નંદીએ એને શ્રાપ આપ્યો કે એક વાનર એની લંકાનો નાશ કરશે! પોતાની શિવ પ્રત્યેની સમર્પિતતા સાબિત કરવા રાવણે કૈલાશ પર્વત ઉંચો કરવા પ્રયત્ન કર્યો. શિવે ગુસ્સે થઈને એમના પગનો અંગુઠો કૈલાશ ઉપર મુક્યો. રાવણનો હાથ પર્વત નીચે દબાઈ ગયો. આ એટલું બધું દર્દનાક હતું કે એની ચીસોથી આખું જગત હલી ઉઠ્યું.
શિવને પ્રસન્ન કરવા હવે રાવણે પોતાની નસ ખંચી કાઢી અને શિવની સ્તુતિ કરી. શિવે એને મુક્ત કર્યો અને એક તલવાર ભેટ આપી. શિવજીએ એને રાવણ એવું નામ આપ્યું જેનો અર્થ થાય છે “બિહામણી ગર્જના કરતી વ્યક્તિ”.