ઘણી વાર બેન્કોના રેઢિયાળ તંત્રને કારણે ચેક ક્લિયર થવામાં મોડુ થાય છે. જેનાથી ખાસ કરીને વેપારીઓને ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે ભારતીય રિઝર્વ બેન્કે બધી બેન્કોને નિર્દેશ કર્યો છે કે તેઓ 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં પોતાની બધી બ્રાન્ચમાં ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS)ને લાગુ કરી દે. જેનાથી દેશમાં ચેક ક્લિયરન્સમાં તેજી આવે અને ચેક ક્લિયરન્સમાં વિલંબને કારણે થતુ નુકસાન અટકે.
આમ તો આ સિસ્ટમ વર્ષ 2010થી જ શરુ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી ફક્ત 1,50,000 શાખાઓમાં જ લાગુ થઇ શકી છે. પરંતુ હવે રિઝર્વ બેન્કના નવા નિર્દેશ અનુસાર બધી બેન્કોની બધી શાખાઓમાં આ સિસ્ટમ લાગુ કરવી પડશે.
શું કહ્યું રિઝર્વ બેન્કે
બધી બેન્કોના ચેરમેન અને એમડીને મોકલેલા એક સર્ક્યુલરમાં આરબીઆઇએ કહ્યું કે એવુ જોવામાં આવ્યું છે કે બેન્કોની ઘણી શાખાઓને કોઇપણ પ્રકારની ઔપચારિક ક્લિયરિંગ સિસ્ટમથી બહાર રાખવામાં આવ્યા છે. જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે સમય વધારે લાગે છે અને ચેકના કલેક્શનમાં ખર્ચ પણ વધુ આવે છે. સીટીએસની ઉપલબ્ધતા વધારવા અને બધી જગ્યાએ ગ્રાહકોને એક સમાન ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે બધી બેન્કોએ તેમની બધી શાખાઓમાં ઇમેજ આધારિત સીટીએસ 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગુ કરવામાં આવે.
શું છે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ અને તેનો ફાયદો
ચેક ટ્રંકેશન સિસ્ટમ ચેકને ક્લિયર કરવાની એક પ્રક્રિયા છે જેમાં ફિઝિકલ ચેકનો ફોટો લઇને તેને ક્લિયર કરી દેવામાં આવે છે. જ્યારે જુની વ્યવસ્થામાં ચેક જે બેન્કમાં રજુ કરવામાં આવે ત્યાંથી અદાકર્તા બેન્ક શાખા સુધીની યાત્રા કરે છે જેમાં ક્લિયરિંગમાં સમય લાગે છે. CTSમાં ચેકના સ્થાને ક્લિયરિંગ હાઉસ તરફથી તેનો ઇલેક્ટ્રોનિક ફોટો ચૂકવણી કરનારા શાખામાં (ડ્રોઇ બ્રાન્ચ) મોકલી દેવામાં આવે છે. આ સિસ્ટમથી ચેક ઝડપથી ક્લિયર થાય છે. ગ્રાહકોનો સમય અને ખર્ચ બચે છે.